Homeમુખ્ય સમાચારહજુ ત્રણ-ચાર દિવસ કમોસમી વરસાદની સંભાવના; જાણો ક્યાં ક્યાં પડી શકે માવઠું?

હજુ ત્રણ-ચાર દિવસ કમોસમી વરસાદની સંભાવના; જાણો ક્યાં ક્યાં પડી શકે માવઠું?

સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે ઉકળાટ પણ અનુભવાશે. વીજળીના ભારે કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક માટે રાજ્યના અનેક જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગાહી મુજબ મંગળવાર અને 14 મેના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે. જ્યારે બુધવારે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં માવઠું પડી શકે છે. 16 મેની વાત કરીએ તો 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું પડવાની શક્યતા છે. 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આમ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.જેને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદની સંભાવના વચ્ચે કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી ખરી પડે તેવી શક્યતા છે. જો આવું થશે તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે. રાજ્ય સરકારે તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે.

RELATED ARTICLES

Most Popular