મહેસાણામાં નવા વર્ષના દિવસે જ એક મહિલાનું કરુણ મોત નિપજ્યું અને આ મોત ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયું. મહેસાણામાં વાઈડ એન્ગલ પાછળ આવેલા અભિનવ બંગ્લોઝમાં આ ઘટના બની. વાઈડ એન્ગલ પાછળ અભિનવ બંગ્લોઝમાં 99 નંબરના મકાનમાં રહેતા 79 વર્ષીય ભગીરથસિંહ રાણા અને તેમના પત્ની સુધા રાણા બેસતા વર્ષની રાતે ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન એક ફટાકડો ઉડીને સામેના 102 નંબરમાં રહેતા બંકેશ નાયકના મકાનમાં પડ્યો. અચાનક ફટાકડો પડતાં ઘરમાં રહેતા બાળકો ડરી ગયા. જેને લઈને બંકેશ નાયક અને તેમના બે દીકરાએ ભગીરથસિંહને તેમના ઘર સામે ફટાકડા ન ફોડવા કહેતાં બોલાચાલી થઈ.

સામાન્ય બાબતે ધારણ કર્યું ઉગ્ર રૂપ
ફટાકડા ફોડવાની વાતને લઈને થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું.બોલાચાલી દરમિયાન 79 વર્ષીય ભગીરથસિંહ ઉશ્કેરાયા અને પોતાની પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વર લઈ આવી આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા. તો સામે બંકેશ નાયક અને તેમના બે દીકરા લાકડીઓ અને લોખંડની પાઈપ લઈને બહાર આવ્યા અને ભગીરથસિંહને મારવા દોડ્યા. જે દરમિયાન ભગીરથસિંહના પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. સામે ભગીરથસિંહે પોતાની રિવોલ્વરમાંથી કરેલા ફાયરિંગમાં બંકેશ નાયકને કપાળ પર અને આદિત્ય નાયકને સાથળ પર ગોળી વાગતાં તેમને પણ ઈજા પહોંચી છે જેને લઈને બંનેને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બંને પક્ષોએ સામ સામે નોંધાવી ફરિયાદ
સામાન્ય બાબતે બોલાચાલી બાદ થયેલા ગંભીર ઘર્ષણ મામલે સામ સામે બંને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંકેશ નાયકના પરિવારે ફાયરિંગ કરનાર ભગીરથસિંહ રાણા સામે ફરિયાદ નોંધાવી છે, તો ભગીરથસિંહ રાણાએ તેમની પત્નીના મોત બદલ નાયક પરિવારના બંકેશ નાયક, વસંતલાલ નાયક, દેવલ નાયક, આદિત્ય નાયક અને ગીતાબેન નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

‘બંને પરિવાર વચ્ચે ઘણા સમયથી ચાલતી હતી તકરાર‘
મહેસાણાના DySpએ જણાવ્યા પ્રમાણે,બે પાડોશીઓ વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. દરમિયાન બેસતા વર્ષની રાતે ફટાકડા ફોડવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી જેમાં બંકેશભાઈના પરિવારે ફટાકડા ફોડી રહેલા ભગીરથ સિંહનો વિરોધ કર્યો હતો. જે બાદ મારામારી થઈ અને ભગીરથ સિંહ રાણાએ એક લાઇસન્સવાળા હથિયાર અને અન્ય એક ગેરકાયદે હથિયારથી પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાંથી બે ગોળીનાયક પરિવારના બે સભ્યોને વાગી છે. મારામારીમાં ભગીરથસિંહનાં પત્ની સુધાબેનને ધક્કો વાગતાં અથવા માથામાં બોથડ પદાર્થનો ઘા વાગતાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે આરોપી ભગીરથસિંહ પાસેથી બે રિવોલ્વર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
