વડોદરા જિલ્લાના ડભોઇમાં આવેલી પટેલ વાડીમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું. સમસ્ત મધ્ય ગુજરાત પાટીદાર સમાજનું આ સંમેલન હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં પાટીદાર સમાજના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી . જો કે આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને પાટીદાર આગેવાન સતિષ નિશાળિયાએ વડોદરા જિલ્લામાં પાટીદાર ધારાસભ્યો ઘટવાને લઈને જણાવ્યું કે, ‘આપણા સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પદ્ધતિ છે, તેમાંથી બહાર આવીને આપણે બધાએ એક થવું પડશે.’
સમાજમાં એકતા લાવવા સંમેલનનું આયોજન
જીયા તલાવડી વાળા પાટીદાર આગેવાન કલ્પેશ હસમુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું હતું. સમાજમાં બેરોજગારી, શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ આવે તે માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનમાં વિવિધ મહાનુભવોએ પોતાના વક્તવ્ય આપ્યા હતા.

મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
કરજણના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપના ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયા, પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, APMCના વાઇસ ચેરમેન ડો. મહેન્દ્રભાઈ પટેલ, શિનોર APMCના ચેરમેન સચીનભાઈ પટેલ, તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં પાટીદાર અગ્રણી જયેશભાઈ પટેલ માવલીવાળાએ પાટીદાર સમાજને 51 હજાર રૂપિયા આપ્યા હતા. અન્ય દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કર્યું હતું.

પાટીદાર સમાજમાં એકતાની જરૂર અંગે પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષ નિશાળીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં સંગઠન થવું જરૂરી છે. અન્ય સમાજના લોકો જાગૃત થઈ રહ્યા છે, ત્યારે પાટીદાર સમાજમાં એકતાની જરૂર છે. ગામમાં કોઈ આગળ વધી રહ્યો હોય તો તેને ગામના લોકો અને આસપાસના ગામના લોકોએ આગળ મોકલવો જોઈએ, પરંતુ આપણા સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પદ્ધતિ છે, તેમાંથી બહાર આવીને આપણે બધા લોકોએ એક થવું પડશે.