Homeવિશ્વ21 જૂને જ કેમ મનાવવામાં આવે છે યોગ દિવસ? ભારતીય યોગ પરંપરા...

21 જૂને જ કેમ મનાવવામાં આવે છે યોગ દિવસ? ભારતીય યોગ પરંપરા વૈશ્વિક સ્તરે કઈ રીતે પહોંચી?

21 જૂને દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જુદી જુદી જગ્યાએ લોકો યોગાસનો અને પ્રાણાયમ કરે છે. પરંતુ ભારતની યોગ પરંપરાને આંતરરાષ્ટ્રીય દરજ્જો કઈ રીતે મળ્યો તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આની પાછળ 27 સપ્ટેમ્બર 2014ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલું વક્તવ્ય અને અનુરોધ મુખ્ય પરિબળ છે.

27 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્યસભામાં સંબોધન કર્યું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. યોગ એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ મનુષ્યમાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકરૂપતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી, આપણી ચેતના જાગૃત કરીને યોગ આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં સહાયરૂપ થાય છે. ચાલો આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.’ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વક્તવ્ય અને અનુરોધના આશરે અઢી મહિના બાદ 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભાએ એક ઠરાવ પસાર કર્યો. 193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ સર્વસંમતિથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા ઠરાવ પસાર કર્યો હતો. જેમાં સામાન્ય સભાએ સ્વીકાર્યું હતું કે આરોગ્ય અને સુખાકારી માટે યોગ એક સંકલિત અભિગમ પૂરો પાડે છે. લોકોના આરોગ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસના લાભો વિશેની જાણકારીનું વિશાળ પ્રસરણ કરવાની જરૂર છે. યોગ જીવનના તમામ પાસાંઓમાં સંવાદિતા લાવે છે. રોગ નિવારણ, આરોગ્યવર્ધન માટે તથા જીવનશૈલી સંબંધિત વિકૃતિઓના નિવારણમાં યોગ મદદરૂપ થાય છે. ઠરાવ પસાર કરતાની સાથે સાથે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 જુનને  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 21 જૂને  વૈશ્વિક ફલક પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરાયેલી આ જાહેરાત સાથે જ વિશ્વભરમાં ભારતનું માન હતું તેના કરતા અનેકગણું વધી ગયું છે.

21 જૂનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. તેથી જ પ્રધાનમંત્રી મોદીએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું. અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો.

અત્યાર સુધી દેશની શાસનધૂરા સંભાળનારા અનેક નેતાઓએ વિદેશોમાં જઈને વેપાર જેવા મુદ્દા પર જ ચર્ચાઓ કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદી એવા પહેલા વ્યક્તિ છે જેમણે ભારત પાસે રહેલા અમૂલ્ય ખજાના એવા યોગને વિશ્વભરમાં ફેલાવવા માટે પ્રયાસ કર્યો હોય. નરેન્દ્ર મોદીની બીજી કોઈ વાત કે નિર્ણય સાથે સહમત થઈએ કે ન થઈએ પરંતુ આ બાબત માટે તેમનો આપણે જરૂર આભાર માનવો રહ્યો.

RELATED ARTICLES

Most Popular