રાજકોટના સત્ય સાઈ રોડ પર થોડા દિવસો પહેલાં વાહન લઈને ઘરે જવા નીકળેલી યુવતીનું રસ્તામાં પડેલા ખુલ્લા વાયરને કારણે વીજશોક લાગતા મૃત્યુ થયું હતું. આ ઘટનાની જવાબદારી કોઈ લેવા તૈયાર નહોતું. PGVCL અને મહાનગરપાલિકાનો રોશની વિભાગ અત્યાર સુધી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી. જોકે, હવે રોશની વિભાગે પોતાની રીતે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં યુવતીના મોત માટે એડ એજન્સી જવાબદાર હોવાનું જણાવ્યું છે. આ રિપોર્ટ હાલ એસ્ટેટ વિભાગને સોંપવામાં આવ્યો છે. અને ટૂંક સમયમાં એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.

રોશની વિભાગના ઇજનેરનું કહેવું છે કે તપાસમાં સામે આવ્યું છે કે જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં વીજપોલ પર એડ એજન્સીનું બોર્ડ હતું. અને તેનો વાયર છૂટો રહી જતાં યુવતીને વીજશોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેનો તપાસ રિપોર્ટ એસ્ટેટ વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં એસ્ટેટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ક્યારે અને કેવી કાર્યવાહી થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
એસ્ટેટ વિભાગના અધિકારીનું કહેવું છે કે દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે. એડ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમો પ્રમાણે એડ એજન્સી દ્વારા કોઈ અકસ્માત થાય તો જવાબદારી તેની રહે છે. અમારી પાસે રિપોર્ટ આવ્યો છે અને અમે આગળની કાર્યવાહી કરીશું, પરંતુ હાલ એ નહીં જણાવી શકાય કે કેવા પગલાં લેવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓના નિર્ણય પ્રમાણે કાર્યવાહી થશે તેવું તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં નિરાલી ઠાકરિયા નામની 22 વર્ષીય યુવતી પોતાના ઘરે જઈ રહી હતી. પાણી ભરાયેલા રસ્તા પરથી તે પસાર થઈ રહી હતી એ દરમિયાન લાઇટના પોલ નીચેનો વીજ વાયર છૂટો હોય અડકી જતાં નિરાલીને વીજ શોક લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો. આશાસ્પદ યુવતીના અકાળે થયેલા મોતને કારણે પરિવારને ન્યાય આપવાની માગ ઉઠી હતી. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આ રિપોર્ટ આવ્યા બાદ હવે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.