Homeદેશદિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ

દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ

દિલ્હીમાં UPSCના કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતાં એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીઓના કરુણ મૃત્યુ થયા છે. શનિવારે સાંજે દિલ્હીમાં વરસાદને કારણે રાજેન્દ્ર નગર વિસ્તારમાં આવેલા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. ભોંયરામાં પાણી ભરાવાને કારણે યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા.

મૃતકોમાં બે વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. કોચિંગના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ અન્ય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. મૃતકોને ન્યાય મળે તે માટે રવિવારે વિદ્યાર્થીઓએ જૂના રાજેન્દ્ર નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, આ મુદ્દે દિલ્હીમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓના મોત માટે ભાજપ દિલ્હી સરકારને જવાબદાર ઠેરવી રહી છે. જેના જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દુખ વ્યક્ત કર્યું.  તેમણે કહ્યું કે, દેશની રાજધાનીમાં ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતની જવાબદારી કોણ લેશે?  એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ 10 દિવસથી વારંવાર ગટરની સફાઈની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરતા લખ્યું, કે “સાંજે દિલ્હીમાં ભારે વરસાદને કારણે અકસ્માતના સમાચાર છે.” દિલ્હી ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે “અરવિંદ કેજરીવાલ, આતિશી અને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ગટરોની સફાઈ કેમ ન કરી તેની પણ તપાસ થવી જોઈએ.”

દિલ્હીના મેયર શૈલી ઓબેરોયએ દિલ્હી મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપતા કહ્યું કે જો આ મામલામાં કોર્પોરેશનનો કોઈ અધિકારી દોષી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કોર્પોરેશન હેઠળ, જો કોચિંગ સેન્ટરના ભોંયરામાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોય, તો તે બિલ્ડિંગ પેટા કાયદાની વિરુદ્ધ છે, તેના પર તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ. રાજેન્દ્ર નગરમાં 3 વિદ્યાર્થીઓના મોતના કારણે જવાબદાર અધિકારી સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, દિલ્હી ભાજપે આજે પોતાના તમામ રાજકીય કાર્યક્રમો રદ કર્યા છે.

આ મામલે પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે, મળતી માહિતી પ્રમાણે, ભોંયરામાં એન્ટ્રી અને એક્ઝિટ બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શનિવારે પાણી ભરાતા, લાઇટ બંધ થઈ ગઈ હતી, જેના કારણે બાયોમેટ્રિક બગડી ગયું હતું અને વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા હતા. ભોંયરામાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ નહોતું.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે કોચિંગ સેન્ટર મુખ્ય માર્ગને અડીને આવેલા રોડ પર બનેલું છે. રસ્તો ઉંચાઈ પર છે અને કોચિંગ સેન્ટર ઢાળમાં આવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે, વરસાદના કારણે શેરીમાં પાણી ભરાવા લાગ્યું હતું, જેના કારણે દરવાજો તૂટી ગયો હતો અને ભોંયરામાં પાણી પ્રવેશ્યું હતું ભોંયરામાં એક પુસ્તકાલય હતું. જેમાં એક સાથે 150 બાળકો અભ્યાસ કરી શકે છે.

ભોંયરામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હોવાની ઘટના અંગેની માહિતી પોલીસને શનિવારે સાંજે 7 વાગ્યે મળી હતી. જે બાદ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બચાવકામગીરી હાથ ધરવામાં આવી. ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. પ્રથમ મૃતદેહ 10:40 વાગ્યે મળ્યો હતો, જ્યારે બીજો મૃતદેહ 11:18 વાગ્યે અને ત્રીજો મૃતદેહ બીજા દિવસે મળ્યો. અંદાજીત 8 કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી.

વિદ્યાર્થીઓને બચાવવા માટે દોરડા ફેંકવામાં આવ્યા હતા, પરંતુ પાણી ગંદુ હોવાથી દોરડા દેખાતા ન હતા. પોલીસે જણાવ્યું કે બચાવ દરમિયાન બેંચ પાણીમાં તરતી હતી. જેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે. એક વિદ્યાર્થીનું નામ નેવિન ડાલ્વિન હતું. તે કેરળનો હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીઓમાં એકનું નામ તાન્યા સોની હતું અને બીજીનું નામ શ્રેયા યાદવ હતું.

RELATED ARTICLES

Most Popular