Homeધર્મકામિકા એકાદશીનો મહિમા, કામિકા એકાદશીની વ્રત કથા

કામિકા એકાદશીનો મહિમા, કામિકા એકાદશીની વ્રત કથા

અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી અને તેની કથા સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળતું હોવાની માન્યતા છે. કામિકા એકાદશીના વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુને ભક્તિભાવ પૂર્વક તુલસી દલ અર્પણ કરે છે, તે આ સંસારના સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે.

પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

લક્ષ્મી વિષ્ણુ

કામિકા અગિયારસના વ્રતનો મહિમા સ્વયં બ્રહ્માજીએ નારદજીને બતાવ્યો હતો. તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનિને પ્રાપ્ત નથી થતો.

શ્રીમદ્દ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે એક વખત યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો. કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા: “હે ભગવાન! મેં દેવશયની એકાદશીનું વર્ણન અને મહિમા સાંભળ્યો, હવે તમે મને અષાઢ મહિનાના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? એનું વર્ણન કરો.”

 ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન ! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્‍યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”

 નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ર્ન કરતા કહ્યું હતું કે “હે કમલાસન ! હું આપની પાસેથી સાંભળવા ઈચ્‍છું છું, કે અષાઢના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે ? તેનું વ્રત કઈ રીતે કરવું અને તેનો મહિમા શું છે? તેના વિશે આપ મને જણાવો.

બ્રહ્માજીએ ઉત્તર આપતા કહ્યું : “ હે નારદ ! સાંભળો. હું લોકોના હિતની ઇચ્‍છાથી તમારા પ્રશ્ર્નોનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ મહિનાના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા એકાદશી” છે. જેનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્‍ણુંનું પૂજન કરવું જોઇએ.”

બ્રહ્માજી બોલ્યા – કે નારદ, જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્‍વીનું દાન કરવા સમના ફળ પ્રાપ્ત થાય છે. માટે પાપભીરુ મનુષ્‍યએ યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીનું વ્રત કરી શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે લોકો પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મ વિદ્યા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે.  કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્‍ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો. મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને વિષ્‍ણુ જેટલા સંતુષ્‍ટ નથી થતા એટલા સંતુષ્ટ તુલસીદળ દ્વારા પૂજિત થવાથી થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી હરિનું પૂજન કરી લીધુ છે એના જન્‍મભરના પાપોનો ચોકકસ નાશ થઈ જાય છે.

ભગવાન શ્રીકૃષ્‍ણએ કહ્યું  “ યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ બ્રહ્માજીએ કામિકા એકાદશીની મહિમાનું જે વર્ણન કર્યું એ મેં તમને જણાવ્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્‍યોએ આનું વ્રત અવશય કરવું જોઈએ. જે મનુષ્‍ય શ્રદ્ધા સાથે આનું મહાત્‍મ્‍ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્‍ણુ લોકમાં જાય છે.  જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે ,તેમના પિતૃઓ સ્વર્ગ લોકમાં અમૃતનું પાન કરે છે. અને જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભગવાન સામે ઘી અતવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે, તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ.”

કામિકા એકાદશીની વ્રત કથાઃ-

ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ગામમાં એક ખૂબ જ બળવાન ક્ષત્રિય રહેતો હતો. ભગવાનમાં તે ખૂબ જ માનતો હતો.  પરંતુ તેને તેના બળનું અભિમાન હતું. તે બળવાન હોવાને કારણે ગામના અન્ય લોકો તેનાથી ખૂબ ડરતા હતા.

એ જ ગામમાં એક ધર્મપ્રેમી બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની મૃત્યુ પામી હતી. તેને કોઈ સંતાન નહોતું. તે કર્મકાંડ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો. એક વખત એ બ્રાહ્મણને નજીકના ગામમાં શ્રીમંત શેઠને ત્યાં કર્મકાંડ માટે જવાનું થયું. બ્રાહ્મણે કરાવેલી કર્મકાંડની વિધિથી એ શેઠ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દ્રવ્યની સાથે સાથે એક સુંદર મજાનો ઘોડો પણ આપ્યો.

જે લઈને બ્રાહ્મણ ખુશ થતા થતા પોતાના ગામ આવ્યા. બ્રાહ્મણ પોતાની સાથે લાવી રહેલો ઘોડો પેલા બળવાન ક્ષત્રિયને ખૂબ ગમી ગયો. તેણે મનોમન વિચાર્યું કે આ બ્રાહ્મણને આ ઘોડાની શી જરૂર. તે પોતે ક્ષત્રિય છે એટલે ઘોડો તેની પાસે હોવો જોઈએ. આવું વિચારી તેણે ઘોડો બ્રાહ્મણ પાસેથી લઈ લેવાનું વિચાર્યું.

 તે બ્રાહ્મણ પાસે ગયો અને થોડું ધન આપીને તેણે ઘોડો માગ્યો. પરંતુ બ્રાહ્મણે ઘોડો આપવાની ના કહી દીધી. ઘોડાના બદલામાં બ્રાહ્મણ માગે તેટલું ધન આપવા તે તૈયાર થયો પરંતુ બ્રાહ્મણ ઘોડો આપવા રાજી ન હતો. જેથી ક્ષત્રિય ગુસ્સે થયો અને બ્રાહ્મણ પર હુમલો કર્યો. જેમાં બ્રાહ્મણનું મૃત્યુ થયું. ક્ષત્રિય ઘોડો લઈને પોતાને ઘરે આવ્યો. પરંતુ તેને ક્યાંય ચેન ન પડ્યું. તેના હાથે બ્રાહ્મણનું મૃત્યુ થયું છે એ વાતનો તેને પશ્ચાતાપ થવા લાગ્યો. તેણે બ્રાહ્મણના અંતિમ સંસ્કાર કર્યા. અને ત્યાર બાદ મૃત્યુ પછીની વિધિ માટે બીજા બ્રાહ્મણો પાસે ગયો. પરંતુ બીજા બ્રાહ્મણોએ વિધિ કરાવવાનો ક્ષત્રિયને ઈનકાર કરી દીધો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે તારા પર બ્રહ્મ હત્યાનો દોષ છે. તેથી એ દોષ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી કોઈ બ્રાહ્મણ તને વિધિ નહીં કરાવે.

તેણે પંડિતોને જઈને પૂછ્યું કે બ્રહ્મહત્યાનો દોષ કઈ રીતે દૂર કરવો. પણ પંડિતો પાસેથી તેને કોઈ ઉપાય ન જડ્યો. છેલ્લે ગામથી દૂર આવેલા એક શિવ મંદિરમાં રહેતા સાધુ પાસે જઈ પહોંચ્યો, સાધુના પગમાં પડીને તે પસ્તાવો કરવા લાગ્યો અને બધી વાત જણાવી. ત્યારે સાધુએ તેને કહ્યું કે થોડા દિવસમાં કામિકા એકાદશી આવે છે તેનું વ્રત કર. જેનાથી તારો બ્રહ્મહત્યાનો દોષ દૂર થશે. ક્ષત્રિયે શ્રદ્ધાપૂર્વક કામિકા એકાદશીનું વ્રત કર્યું અને તેના પરનો બ્રહ્મહત્યાનો દોષ દૂર થયો. ત્યાર બાદ બ્રાહ્મણો પાસે તેણે મૃતક બ્રાહ્મણની વિધિ કરાવી અને પછી તેનું મન શાંત થયું. આમ અષાઢ વદ એકાદશીનું વ્રત કરવાથી અને આ કથા વાંચવા સાંભળવાથી બ્રહ્મહત્યાના દોષમાંથી પણ મુક્તિ મળતી હોવાની માન્યતા છે.  

RELATED ARTICLES

Most Popular