Homeગુજરાતધોરાજીમાંથી મળી આવેલી માનવ ખોપરીનો ઉકેલાયો ભેદ; પતિએ પત્નીને જ ઉતારી હતી...

ધોરાજીમાંથી મળી આવેલી માનવ ખોપરીનો ઉકેલાયો ભેદ; પતિએ પત્નીને જ ઉતારી હતી મોતને ઘાટ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક થોડા દિવસો પહેલાં માનવની ખોપરી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી આ ખોપરી મળી આવી હતી. આ મામલે ઊંડી તપાસ કરીને પોલીસે માનવ ખોપરીનો ભેદ ઉકેલી  નાખ્યો છે.

આ પણ વાાંચો – ડોક્ટરની સલાહ બાદ ગર્ભપાત કરાવતા સગર્ભા મહિલાનું મોત

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખોપરી મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ રાજકોટ ગ્રામ્ય LCBએ શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતા થોડા મહિનાઓ પહેલા એક મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. અને એ હત્યા બીજા કોઈએ નહીં પણ મહિલાના પતિ દ્વારા જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. જે જગ્યાએથી ખોપરી મળી હતી એ કારખાનામાં અગાઉ કામ કરતો વિપિન યાદવ ઘરકંકાસને કારણે કંટાળી ગયો હતો. જેથી તેણે તેના ભાઈ સૌરભસિંઘ સાથે મળીને તેની પત્નીની જ હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ તેની લાશને દાટી દીધી હતી. પોલીસે બન્ને ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સૌ પ્રથમ મૃતક મહિલાના પતિ વિપિન યાદવ અને તેના ભાઈ સૌરભસિંઘને ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી ઉત્તર પ્રદેશના ઇટાવાના એક ગામમાંથી ઝડપી લેવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવતા મૃતકના પતિએ ગલ્લાંતલ્લાં કર્યા હતા. જેથી તેના પરની શંકા મજબૂત બની. આકરી પૂછપરછ કરવામાં આવતા બંને ભાઈઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી. બંનેએ સ્વીકાર્યું કે, વિપિન યાદવને તેની પત્ની રેશ્માદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ સાથે ઘરકંકાસ થતો હતો. જેથી તે કંટાળી ગયો હતો. અને આ કંકાસથી કાયમી છૂટકારો મેળવવા માગતો હતો. જેથી વિપિન અને તેના ભાઈએ સાથે મળીને રેશ્માદેવીને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું.

ઘટનાના દિવસે વિપિને તેના બાળકને શાળાએ મોકલી દીધું. ત્યાર બાદ કારખાનાની  આજુબાજુમા કોઈ વ્યક્તિ નથી ને તેની તેના ભાઈ સૌરભસિંઘ યાદવ પાસે ખાતરી કરાવી લીધી. પછી સંચા પર બેસી કામ કરતી રેશ્માદેવીને તેના પતિ વિપિને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંઘે મોઢું દબાવી રાખ્યું. રેશ્માદેવી મૃત્યુ પામી ત્યાર બાદ કારખાનાના શેડ પાસે આવેલી કુંડીમાં તેની લાશને ફેંકીને કુંડી ઉપર માટીનું પુરાણ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે ગત 6 ઓગસ્ટના દિવસે ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં  સાંકડી રોડ પર આવેલા બંધ કારખાનામા સાફસફાઈ કરવામાં આવી રહી હતી. દરમિયાન કારખાનાની અંદરની કુંડીમાંથી માનવની ખોપરી મળી આવી હતી. ઘટના અંગે જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ખોપરીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા એ ખોપરી 25 થી 35 વર્ષની મહિલાનું અને અંદાજિત 6 મહિના પહેલાં મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય LCB ,SOG, ધોરાજી સિટી પોલીસ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular