ન્યાય યાત્રા દરમિયાન ચોટીલામાં શાળાના બાળકોને વીર સાવરકર અને સુભાષ ચંદ્ર બોઝની તસવીર વાળા ટીશર્ટ બાબતે બોલાચાલી કરીને એ ટીશર્ટ ઉતરાવવા બાબતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા 13 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર પહોંચી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં રાત્રિ રોકાણ બાદ 14 ઓગસ્ટે ન્યાય યાત્રા આગળ વધી રહી હતી એ દરમિયાન સાંગાણી ગામ પાસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તિરંગા યાત્રા લઈને નીકળેલા શાળાના બાળકોને એક જેવા જ કેસરી ટીશર્ટમાં જોયા હતા. જે ટીશર્ટમાં વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર હતી.

વીર સાવરકરની તસવીર વાળા ટીશર્ટ હોય કોંગ્રેસના નેતાઓએ ભાજપના ઈશારે આ ટીશર્ટ બાળકોને પહેરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. અને ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલને બદલે વીર સાવરકરને ભાજપના નેતાઓ રાષ્ટ્રીય હીરો બનાવવા માગતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ મામલો ગંભીર બનતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને બાળકોએ યુનિફોર્મ ઉપર પહેરેલા ટીશર્ટ ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે લાલજી દેસાઈ, ઋત્વિક મકવાણા અને રાઘવભાઈ મેટાળીયા સહિતના નેતાઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના નેતાઓએ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેમજ ફરજમાં અવરોધ ઊભો કરવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે.
શાળાના આચાર્યનું કહેવું છે કે બાળકોએ ટીશર્ટ પહેર્યા હતા એ મુંબઈના ઈન્દુમતી વસંતલાલ શાહ નામના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે એ ટ્રસ્ટના સભ્યનું કહેવું છે કે આ મુદ્દે વિવાદ થયો તે દુ:ખની બાબત છે. આવી ટીશર્ટ આપવા પાછળનો તેમનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને એ વ્યક્તિના યોગદાન પ્રત્યે જાગૃત કરવાનો છે. ગાંધીજીની હત્યાના ષડયંત્રના આક્ષેપ મામલે વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. અને તેમનો અભ્યાસ પણ પુસ્તકોમાં કરાવવામાં આવે છે. તેથી તેઓએ આવી ટીશર્ટ આપી હતી.

શાળાના આચાર્યની ફરિયાદ મુજબ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ થતાં સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે. શાળાના આચાર્યએ કરેલી આ ફરિયાદ ભાજપના ઈશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે.
