ચોટીલામાં એક જીનિંગ મિલનું ઊઠમણું થતાં મોટી સંખ્યામાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. સિદ્ધનાથ કોટેક્સ કંપનીનું ઊઠમણું થઈ ગયું છે. કંપનીની ઓફિસે તાળા છે અને કંપનીના સંચાલકો ફોન નથી ઉપાડી રહ્યા. જ્યારે કેટલાક સંચાલકોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. જેને લઈને ખેડૂતો ઉપરાંત દલાલો અને મજૂરો ચિંતામાં મૂકાઈ ગયા છે.

અનેક ખેડૂતોએ જાંગડમાં આ સિદ્ધનાથ કોટેક્સને પોતાનો કપાસ વેચ્યો હતો. જેના રૂપિયા લેવાના બાકી હતા અને કંપનીના સંચાલકો તરફથી આજની તારીખ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ તાળા જોતાં જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઊઠ્યા. ખેડૂતો ઉપરાંત દલાલોને તેમની દલાલી અને 500 જેટલા મજૂરોને પણ તેમની 2 મહિનાની મજૂરી લેવાની બાકી છે. જેમને પણ આજની તારીખ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ તાળું હોય ખેડૂતો સહિત દલાલો અને મજૂરો ચિંતામાં આવી ગયા છે. પોતાના કપાસના રૂપિયા બને એટલે જલ્દી મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. તો મજૂરોને પણ બે મહિનાથી મહેનતાણું ન મળતાં તેઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો – શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે મુલાકાત; ગુજરાતની રાજનીતિમાં ફેરફારના સંકેત

કંપનીનું ઊઠમણું થયાની વાત સામે આવતા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો દોડતા કંપની ખાતે પહોંચી ગયા અને હંગામો મચાવ્યો. જે અંગે જાણ થતાં પોલીસ પણ દોડતી આવી પહોંચી અને લોકોની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી. ચોટીલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જયરાજભાઈ ધાધલ પણ જીનિંગ મીલ ખાતે આવી પહોંચ્યા હતા અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. માર્કેટિંગ યાર્ડના વેપારીઓની પણ આશરે 50થી 60 લાખ રૂપિયાની રકમ જીનિંગ મિલ પાસે લેણી નીકળી રહી છે.
