બોલિવૂડની અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતના એક નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. કંગના રનૌતે આપેલા નિવેદનને ભાજપે કંગનાનું વ્યક્તિગત નિવેદન ગણાવી દીધું છે અને ભાજપ તરફથી બોલવા માટે કંગના અધિકૃત ન હોવાનું જણાવી દીધું છે. ઉપરાંત ભાજપે કંગનાને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે કંગના રનૌત પક્ષના નીતિ વિષયક બાબતો પર નિવેદન આપવા માટે મંજૂરી નથી અને તે અધિકૃત પણ નથી.

સાંસદ કંગના રનૌતે એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં ખેડૂતોના આંદોલન મુદ્દે તેમણે નિવેદન આપ્યું હતું અને તેને બાંગ્લાદેશની ઘટના સાથે જોડ્યું હતું. કંગનાએ એવો પણ દાવો કર્યો હતો કે ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓ ભારતમાં કામ કરે છે.
ભાજપે કંગના રનૌતને કડક સૂચના આપતા કહ્યું કે તેમણે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવું જોઈએ. ભાજપના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલન પર આપવામાં આવેલ નિવેદન પક્ષનો અભિપ્રાય નથી.

કંગના રનૌત એક ફિલ્મ અભિનેત્રી છે. તે પોતાના નિવેદનોને કારણે ઘણી વખત વિવાદોમાં રહેતી આવી છે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી હતી. જેમાં વિજેતા બનતાં કંગના રનૌત પ્રથમ વખત લોકસભાની સાંસદ બની છે.
કંગના રનૌતે અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં જે બન્યું છે તે અહીં (ભારતમાં) થવામાં લાંબો સમય ન લાગત જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત.’
કંગનાએ બાંગ્લાદેશમાં તાજેતરના આંદોલન અને સત્તા પરિવર્તનને ભારતમાં ખેડૂતોના આંદોલન સાથે જોડી દીધું હતું અને કહ્યું હતું કે ‘અહીં ખેડૂતોના આંદોલન વખતે લાશો લટકતી હતી, બળાત્કાર થઈ રહ્યા હતા. ખેડૂતો દ્વારા લાંબુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે બાંગ્લાદેશમાં શું થયું. આવા કાવતરા. તમને ખેડૂતો શું લાગે છે? ચીન, અમેરિકા -આવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે.’
કંગનાના નિવેદન પર ભાજપની સ્પષ્ટતા
ભાજપે કંગનાના આ નિવેદન અંગે કહ્યું છે કે, ” કંગનાના નિવેદન સાથે ભાજપ અસહમત છે. પક્ષ વતી કંગના રનૌતને ન તો પાર્ટીની નીતિના મુદ્દાઓ પર બોલવાની પરવાનગી છે કે ન તો તે પક્ષ તરફથી અધિકૃત છે.”
ભાજપે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટી દ્વારા કંગના રનૌતને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોનું પાલન કરવા માટે કટિબદ્ધ છે.”

મહત્વનું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓ અંગેના કંગના રનૌતના નિવેદનોને લઈને પણ વિવાદ થયો હતો. લોકસભા સાંસદ બન્યા બાદ દિલ્હી આવી રહેલા કંગના રનૌતને મોહાલી એરપોર્ટ પર CISFની એક મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારવા મામલે પણ વિવાદ થયો હતો. કુલવિંદર કૌર નામની એ મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે તે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાએ આપેલા નિવેદનથી તે નારાજ છે.

ડિસેમ્બર 2020 માં, 88 વર્ષીય મહિન્દર કૌર નામની મહિલા ખેડૂત પંજાબના ખેડૂતો સાથે ધ્વજ લઈને કૂચ કરતી જોવા મળી હતી. ઉંમરને કારણે કમર વાંકી હોવા છતાં મહિન્દર કૌર ખેડૂતો સાથે કૂચ કરી રહી હતી. મહિન્દર કૌરની આ તસવીર સામે આવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર તેની સરખામણી શાહીન બાગના વિરોધનું નેતૃત્વ કરનાર બિલ્કિસ દાદી સાથે પણ કરવામાં આવી હતી. કંગના રનૌતે બિલ્કીસ અને મહિન્દર કૌર બંનેની એકસાથે તસવીરો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો, “આ એ જ દાદી છે જે ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ છે. અને આ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે”
કંગનાને એરપોર્ટ પર થપ્પડ મારનાર CISF મહિલા કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે તે કંગનાના આ નિવેદનથી નારાજ છે. તેણે કહ્યું હતું કે તેની માતાએ સ્વેચ્છાએ ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.
રાહુલ ગાંધી પર પણ કરી હતી ટિપ્પણી
જુલાઈ મહિનામાં સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવના ચક્રવ્યૂહ અને મહાભારતની કથાનો ઉલ્લેખ કર્યો હતો. કંગના રનૌતે રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું હતું કે ‘તે જે પ્રકારની ગાંડપણની વાતો કરે છે તેની તપાસ કરવી જોઈએ કે તે કોઈ દવાઓ લે છે કે નહીં.’ કંગનાએ તેના સોશિયલ મીડિયા ટ્વીટર પર તેના આવા નિવેદનનો વીડિયો પણ ફરીથી પોસ્ટ કર્યો હતો.

શંકરાચાર્યના નિવેદન અંગે પણ કરી હતી ટિપ્પણી
મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો તૂટ્યા અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ‘વિશ્વાસઘાતના શિકાર’ છે. ત્યારે શંકરાચાર્યના નિવેદન અંગે સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કટાક્ષ કરતા કહ્યું હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને ‘દેશદ્રોહી’ અને ‘દ્રોહી’ કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. કંગનાએ લખ્યું હતું કે ‘રાજકારણી રાજનીતિ નહીં કરે તો શું ગોલગપ્પા વેચશે?’ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે તેઓ નાની-નાની વાતો કરીને હિન્દુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.

આઝાદી અંગે નિવેદનને લઈને વિવાદ
વર્ષ 2021માં કંગના રનૌતે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘ભારતને વર્ષ 1947માં ભીખ માંગીને આઝાદી મળી હતી અને દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી હતી.’ વાસ્તવમાં, ભારતને અંગ્રેજોથી 1947માં 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. લાંબી લડાઈ અને સંઘર્ષ બાદ આ આઝાદી મળી હતી. જ્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. કંગનાના આ નિવેદન બાદ પણ મોટો વિવાદ થયો હતો.
ભાજપ પર વિપક્ષનો પ્રહાર
કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદન બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા ઘણા વિરોધ પક્ષોને ભાજપ પર પ્રહાર કરવાની તક મળી છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે અમેરિકા અને ચીનની ભૂમિકા અંગે ખુલાસો કરવો જોઈએ અને જો તે ખોટું છે તો જે વ્યક્તિએ આવું કહ્યું છે તેને પક્ષમાંથી બહાર કરી દેવા જોઈએ. સુપ્રિયા શ્રીનેતાએ આરોપ લગાવ્યો છે કે ભારતમાં ખેડૂતો પર ક્યારેય કોઈએ આવી ટિપ્પણી કરી નથી અને ભાજપ ફક્ત ‘આ પાર્ટીનું નિવેદન નથી’ કહીને છટકી શકે નહીં.