Homeગુજરાતબનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીનો મુદ્દો વધુ ગરમાયો; પોલીસ સામે સાંસદ ગેનીબેન ઠાકોરના...

બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીનો મુદ્દો વધુ ગરમાયો; પોલીસ સામે સાંસદ ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીજની છેડતીનો મુદ્દો વધુ ગરમાયો છે. આ સમગ્ર મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા કેટલાક ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જીગર ઠાકોર નામનો એક યુવક પણ હતો. જીગર ઠાકોરનો આક્ષેપ છે કે  પોલીસે  તેને માર માર્યો છે અને ખોટી રીતે ગુનો કબૂલી લેવા દબાણ કર્યું હતું. ત્યારે આ મામલે ગેનીબેન ઠાકોરે જીગર ઠાકોરના પરિવારજનો સાથે મુલાકાત કરી.

તેમણે કહ્યું કે જે ઘટના બની છે તે ઘણી ગંભીર છે અને જે શખ્સે સાધ્વીજીની છેડતી કરી છે તેની સામે કડક પગલાં લેવાય. પછી ભલે ગેનીબેનનો ભાઈ જ કેમ ન હોય. પરંતુ કોઈ એક સમાજના યુવકને પકડીને તેના પર ગુનો કબૂલી લેવા દબાણ કરવામાં આવે છે એ પોલીસની માનસિકતા દર્શાવે છે કે જેટલા ગુના બનતા હશે એમાં સાચા ગુનેગારને પકડવાને બદલે પોલીસ નિર્દોષને પકડીને ગુનો કબૂલ કરાવતા હશો.  તેમણે કહ્યું કે અમે જૈન સમાજ સાથે છીએ અને સાચા ગુનેગારને છોડવામાં ન આવે પછી તેમનો પોતાનો સગો ભાઈ કેમ ન હોય. પરંતુ આવી રીતે માર મારીને ગુનો કબૂલ કરાવવાનું દબાણ જરા પણ યોગ્ય નથી. આવું કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી કરવી જોઈએ અને સસ્પેન્ડ કરવો જોઈએ.

જો કે બીજી તરફ આ સમગ્ર મામલે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ગેનીબહેનના આક્ષેપ ખોટા છે. તેમણે કહ્યું કે આ મામલે પોલીસે અત્યારસુધીમાં 350 જેટલા શંકાસ્પદ ઈસમોને લાવીને તેમની ઓળખ કરાવવામાં આવી છે. અને આ ઈસમોમાં અલગ અલગ જ્ઞાતિના લોકો છે. કોઈ એક જ્ઞાતિના નથી.

તેમણે એમ પણ કહ્યું કે જે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી છે. તેમની સાથે કોઈ પ્રકારની મારપીટ કરી નથી. કે સ્વમાન ઘવાય એવી ઘટના તેમની સાથે નથી બની. અમે આ બાબતે ટેક્નિકલ ઈનપુટ, હ્યુમન સોર્સની મદદ લઈને તપાસ કરી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા કોઈ એક સમાજને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવ્યો. આમ છતાં તેમણે કહ્યું કે જો કોઈ આવી ઘટના બની હશે તો મેડિકલ તપાસ કરાવશું અને આવી બાબત બન્યાનું ધ્યાનમાં આવશે તો સખત પગલાં પણ લઈશું.

ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટના દિવસે ભાભર ખાતે જૈન સાધ્વીજી સાથે છેડતીની ઘટના બની હતી. જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા SOG, LCB સહિતની ટીમ સાથે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી છેડતી કરનાર ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. છેડતી કરનાર ઈસમનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસ દ્વારા 350 થી વધુ શંકાસ્પદોને પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે જીગર ઠાકોર નામના યુવકના પરિવારજનોને મળ્યા બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ સામે આક્ષેપ કરતાં મામલો વધુ ગરમાયો છે. જીગર ઠાકોર નામના યુવકનું પણ કહેવું છે કે પોલીસે તેના પર ગુનો કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવકના આક્ષેપ સાચા હોય તો પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. જો કે આ મામલે સત્ય શું છે તે તપાસનો વિષય છે.

RELATED ARTICLES

Most Popular