Homeધર્મસોમવતી અમાસની વ્રત કથા અને માહાત્મ્ય

સોમવતી અમાસની વ્રત કથા અને માહાત્મ્ય

જે દિવસે અમાસ અને સોમવાર હોય તે દિવસે સોમવતી અમાસ કહેવાય છે. વ્રત કરનારે પવિત્ર જળમાં સ્નાન કરી પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ઘીનો દીવો કરવો. પછી આઠ જાતનાં ફળો હાથમાં લઈ, ૧૦૮ વાર પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કર્યા પછી તે ફળો ભગવાનને અર્પણ કરવાં. (કેટલેક ઠેકાણે સૂતર વીંટીને પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે.)

સોમવતી અમાસની વાર્તા:-

કાંચીનગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. તેને સાત છોકરા અને એક છોકરી હતી. છોકરીનું નામ ગુણવતી હતું. ગુણવતી ગુણનો ભંડાર હતી. તેનાં મંગલાચરણથી ઘરનાં બધાં પ્રસન્ન રહેતાં. સાતે ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી.

એક દિવસ એક બ્રાહ્મણ તેમને ઘરે ભિક્ષા લેવા આવ્યો. સાતે વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે સૌને “અખંડ સૌભાગ્યવતી થાવ!” એવા આશીર્વાદ આપ્યા. ગુણવતીએ પણ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણ ગુણવતીને જોઈ જ રહ્યો. અને પછી ગુણવતીને તેણે “બહેન ! ધર્મવતી થા” એવા આશીર્વાદ આપ્યા.

ગુણવતી તેની માતા પાસે ગઈ અને કહ્યુંઃ “બા! મહારાજે સૌને “અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થાવ એવા. આમ કેમ.  પુત્રીની વાત સાંભળીને ધનવતીને નવાઈ લાગી. તે મહારાજ પાસે આવી અને પૂછ્યું: “મહારાજ! મારી દીકરીને “અખંડ સૌભાગ્યવતી’ને બદલે ‘ધર્મવતી થાવ!” એવા આશીર્વાદ કેમ આપ્યા?’

મહારાજે કહ્યું: “મેં જે કહ્યું છે, તે ઠીક જ કહ્યું છે, બહેન. ગુણવતીનાં જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી વખતે જ તેનો પતિ મૃત્યુ પામશે! અને ગુણવતી વિધવા થશે એવું તેના લલાટની રેખાઓ કહી રહી છે. આટલું સાંભળતાં તેની માતાનું હૃદય થડકી ગયું. ગુણવતી પણ રડવા જેવી થઈ ગઈ.

મહારાજે ગુણવતીને આશ્વાસન દેતાં કહ્યું. કે બહેન એટલા માટે તો કહું છું કે, અત્યારથી જ તારે ધર્મનો જ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખ વેળા શાંતિ મળે! ધનવતીએ હાથ જોડી મહારાજને પૂછ્યુઃ “મહારાજ ! અમને એવો કોઈ ઉપાય બતાવો કે, જેથી મારી ફૂલ જેવી દીકરી પર આવી આપદા ન આવે.

મહારાજે કહ્યુંઃ “જો તમે સિંહલદ્વિપમાંથી સોમા નામની ધોબણને તમારે ઘરે લાવી શકો, તો તમારી દીકરી દુઃખમાંથી બચે, પરંતુ એ કામ ઘણું કઠણ છે.” આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયો.

દેવસ્વામી વિચારમાં પડ્યો કે, સિંહલદ્વિપમાં જવું શી રીતે? તેણે પોતાના સાતે પુત્રોને બોલાવ્યા અને સિંહલદ્વિપમાં જવાનું કહ્યું. મોટા છએ છોકરા ચૂપ રહ્યા, પણ સૌથી નાનો દીકરો શિવસ્વામી સિંહલદ્વિપ જવા તૈયાર થયો.

શિવસ્વામી અને ગુણવતી બંને ભાઈ-બહેન સિંહલદ્વિપ જવા ચાલી નીકળ્યાં. અનેક વનવગડા વીંધતાં વીંધતાં, ભૂખમાં વનફળ ખાતાં ખાતાં તેઓ સમુદ્રકાંઠે પહોંચ્યા. ભાઈબહેન બંને થાકીને લોથ પોથ થઈ ગયાં હતાં. સમુદ્ર ઓળંગવો શી રીતે? એમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠાં. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેનાં બચ્ચાં સાથે રહેતું હતું.

તે ખાવાનું લઈને આવ્યો અને બચ્ચાંને કહ્યું: “જુઓ! આજે તો સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાવ.” બચ્ચાં બોલ્યાં: “અમારે કાંઈ ખાવું નથી!”

ગીધ પક્ષી બોલ્યું : “અરે! એવું શું છે? આટલું સરસ ખાવાનું અને તમે ખાવાની ના પાડો છો’

બચ્ચાં બોલ્યાં: “આ ઝાડ નીચે જે બેઠેલાં છે, તે બંને ભાઈ- બહેન કેટલાય દિવસથી ભૂખ્યાં છે. તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય?”

બચ્ચાંનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને એ ગીધ વનફળો ઉપાડી લાવ્યો અને ભાઈ-બહેન આગળ મૂક્યાં.

ગીધને જોઈને શિવસ્વામી બોલ્યોઃ ‘હે ગીધરાજ! અમારું કામ ન થાય, ત્યાં સુધી અમોને ખાવાનું ગળે ઊતરે તેમ નથી. અમારે સિંહલદ્વિપમાં સોમાને ઘરે જવું છે. કોઈ ઉપાય બતાવો તો સારું.

ગીધ બોલ્યોઃ “તમે ચિંતા ન કરો. હું હમણાં જ તમને સિંહલદ્વિપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાંતે આ ફળો ખાઈ લો.’

ભાઈબહેને વનફળો ખાધાં. આ ગીધ કોઈ સામાન્ય ગીધ ન હતો. એકસાથે 10 માણસોને સામટાં ઉપાડી શકે એટલો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ-બહેનને બેસાડી લીધાં અને તે આકાશ માર્ગે ઊડવા લાગ્યો. ઘડીકવારમાં તો ગીધ બંને બાઈ બહેનને લઈને દરિયાને પેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંનેને ઉતારી દીધાં અને પોતાનાં બચ્ચાં પાસે જવા રવાના થયો.

સવાર થવાને હજી વાર હતી. ભાઈબહેન! વિચાર કરતાં હતાં કે હવે શું કરવું? ગુણવતીએ કહ્યુંઃ “ભાઈ! આપણે સોમાની કાંઈ સેવાચાકરી કરીએ તો સોમા રાજી થાય.’ આમ વિચારી તેમણે સોમાના ઘર આગળથી કચરો કાઢવા માંડ્યો. શિવસ્વામી પણ કૂવેથી પાણી ભરી લાવ્યો. ગુણવતીએ સોમાનું આંગણુ લીંપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઊગે તે પહેલાં તેઓ દૂર જઈને બેઠાં. સવાર પડ્યું. સોમા આળસ મરડીને ઊઠી. તે ઘરની બહાર નીકળી અને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.

તે વિચારવા લાગી કે મારું આંગણું કોણે લીપ્યું? તે વિચારમાં પડી, પણ કાંઈ સમજણ પડી નહિ. ભાઈબહેન નિત્ય સોમાનું આંગણું લીંપવા લાગ્યાં. સોમા સવારે જુએ અને નવાઈ પામે. એક વાર તો તે રાત્રે જાગતી બેસી રહી. રાતનો છેલ્લો પહોર થયો, ત્યાં તો બે જણાંને આંગણું લીંપતાં જોયાં. સોમા દોડી આવી અને પૂછ્યું: “ભાઈ! બહેન, તમે બંને કોણ છો?” મારું આંગણું શા માટે લીપો છો?

શિવસ્વામી બોલ્યો: “હું બ્રાહ્મણનો છોકરો છું. આ મારી બહેન છે ગુણવતી. અમે તમને તેડવા આવ્યાં છીએ. અમે તમારી સેવાચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ.” સોમા ધોબણ તો ચિંતામાં પડી ગઈ! બ્રાહ્મણના બાળકો મારું ઘર લીંપે! તે બોલી ઊઠી: ‘ભાઈ! તમે મારા અતિથિ છો. મારે તમારી સેવા કરવી જોઈએ. વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું ! તમારે જે કામ હોય તે કહો, હું આનંદથી કરીશ.”

શિવસ્વામીએ પોતાની બહેન વિશે મહારાજે જણાવેલી બધી વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવા તેમને આગ્રહ કર્યો. સોમાએ પોતાના દીકરાની વહુઓને કહ્યું: “હું જાઉં છું, પણ આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેના મૃતદેહને સાચવી રાખજો.’ આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવતીને લઈ આકાશમાર્ગે ઊડવા લાગી. થોડી વારમાં બધાં કાંચીનગરમાં પહોંચી ગયા.

સોમાને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીનાં માતાપિતાના આનંદનો પાર ન રહ્યો. તેમણે ઉજ્જૈનમાં રુદ્રશર્મા નામના એક ગુણવાન છોકરા સાથે ગુણવતીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યાં. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાતજાતની અટકળો કરવા લાગ્યા. ચોળીમાં મંગળફેરા લેવાયા, ત્યાં તો રુદ્રશર્મા બેભાન થઈને ઢળી પડ્યો ! લગ્નમંડપમાં હાહાકાર થઈ ગયો.

સગાંવહાલાં કલ્પાંત કરવા લાગ્યાં. સોમાએ બધાંને શાંત રહેવા સમજાવ્યાં અને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને રુદ્રશર્મા ઉપર પાણીની અંજલિ છાંટી. રુદ્રશર્મા તરત જ બેઠો થયો અને સૌના આનંદનો પાર ન રહ્યો. ગુણવતી સોમાના પગે પડી. સોમાએ તેને પ્રેમથી પોતાની છાતી સરસી ચાંપી લીધી.

સૌની વિદાય લઈ સોમા ત્યાંથી ચાલી નીકળી અને પરત સિંહલ દ્વિપમાં આવી પહોંચી. માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી. તેણે કહ્યુંઃ “બહેન! જરા ભાર ચડાવો ને!” સોમા બોલીઃ “બહેન! મારે સોમવતી અમાસનું વ્રત છે. હું તમને ભાર નહિ ચડાવું.’ આગળ જતાં એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠેલી, તેણે સોમાને કહ્યું: “બહેન! મને આ ટોપલો ચડાવોને !”

સોમાએ કહ્યુંઃ “બહેન! મારે વ્રત છે. હું તને ભાર નહિ ચડાવું.’ આમ કરી સોમા પોતાના ઘરભણી ચાલતી થઈ. રસ્તામાં પીંપળો આવ્યો. સોમાએ એકસો આઠ ફળો લઈ, પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્રશર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણીની અંજલિ છાંટી હતી, તે જ સમયે સોમાને ઘરે બધા પુત્રોમ ગયા હતા. બધા સોમાની વાટ જોઈને બેઠાં હતા.

પરંતુ સોમાએ પીપળાની પ્રદક્ષિણા કરી, ભગવાનનું પૂજન કર્યું, ત્યાં તો તેના મૃત્યુ પામેલા બધા પુત્રો સજીવન થઈ ગયા. સૌના આનંદનો પાર ન રહ્યો. વ્રતનું મહત્વ જાણીને ગુણવતી પણ સોમવતી અમાસનું પવિત્ર વ્રત કરવા લાગી. આવો આ વ્રતનો પ્રભાવ છે.

RELATED ARTICLES

Most Popular