અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. જુદા જુદા શહેર, જિલ્લા અને ગામોમાં ઠેક ઠેકાણે શ્રદ્ધાળુઓએ શેરી , મહોલ્લા અને ઘરોમાં ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી છે. અને ધામધૂમ પૂર્વક બાપ્પાની પૂજા કરીને પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણમાં વિસર્જન સમયે મોટી દુર્ઘટના સર્જાય છે.

એક જ પરિવારના 7 સભ્યો પાણીમાં ગરકાવ
પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. એક પરિવાર પણ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવા આવ્યો હતો. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદી પર આવ્યા હતા. આ દરમિયાન પરિવારના 7 સભ્યો એક સાથે નદીમાં ડૂબવા લાગ્યા. જે અંગે જાણ થતાં તરવૈયાઓએ પણ નદીમાં ઝંપલાવ્યું અને ડૂબી રહેલા સભ્યો પૈકી ત્રણ સભ્યોને બચાવી લીધા.
જ્યારે ચાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા.
મૃતકોના નામ
1) જિમિત નીતિશભાઈ પ્રજાપતિ
2) શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ
3) દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ
4) નયન રમેશભાઈ પ્રજાપતિ
ધારાસભ્ય અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટના અંગે જાણ થતાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિસર્જનને લઈને નદી કિનારે પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાંથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. બહાર કાઢવામાં આવેલા ત્રણેય સભ્યોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ટ્રેક્ટરની લાઈટ વડે શોધખોળ
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે, ગણેશ વિસર્જન વખતે જે દુઃખદ ઘટના બની છે. સરસ્વતી ડેમમાં પ્રજાપતિ પરિવારના 7 લોકો ડૂબ્યા હતા જેમાંથી ત્રણને બચાવી લેવાયા, જ્યારે ચારના મૃત્યુ થયા છે. મૃતકોની શોધખોળ માટે સરસ્વતી નદીમાં 2 JCB, 4 ટ્રેક્ટરની લાઈટ વડે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વધુ લાઇટની જરૂર પડતાં જનરેટર પણ લાવવામાં આવ્યું હતું.