રાજ્યમાં ગણેશ વિસર્જન દરમિયાન વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જતાં 8 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. શુક્રવારે રાજ્યમાં અનેક સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દહેગામ નજીક આવેલી મેશ્વો નદીમાં પણ શ્રદ્ધાળુઓ ગણેશની પ્રતિમાના વિસર્જન માટે પહોંચ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની.

આવી રીતે બની ઘટના
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદી પસાર થાય છે. જ્યાં શુક્રવારે ગણેશવિસર્જન માટે શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન એક જ ગામના એક જ ફળિયાના 8 લોકો નદીમાં ડૂબવા લાગ્યા અને તેમના કરુણ મૃત્યુ થયા. ઘટના અંગે જાણ કરાતા ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને શોધખોળ હાથ ધરી. પહેલાં 8 પૈકી 5 યુવકના મૃતદેહ મળ્યા અને થોડીવાર પછી અન્ય ત્રણ યુવક પણ મૃત હાલતમાં મળી આવ્યા. આમ 8 યુવકોનું એક સાથે ડૂબી જતાં મૃત્યુ થયું.મૃતક યુવાનોના પરિવારજનો ઉપરાંત વાસણા સોગઠી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટના અંગે જાણ થતાં પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

અધિકારીઓએ શું કહ્યું?
ઘટના અંગે કલેક્ટરે જણાવ્યું કે, મરનાર યુવકો એક જ ગામના અને એક જ ફળિયાના છે. ગણપતિ વિસર્જન સમયે આ થયું હોય એવું ન કહી શકાય.પરંતુ આ છોકરાઓ નાહવા ગયા હતા, જેમાંથી એક ડૂબવા લાગતાં બાકીના યુવાનો તેને બચાવવા ગયા હતા અને આ ઘટના બની. તમામના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે.
DySP ડી. ટી. ગોહિલે જણાવ્યું કે દહેગામના વાસણા સોગઠી ગામમાં બપોરના 2 વાગ્યે મેશ્વો નદીના ચેકડેમમાં 9 યુવક નાહવા માટે પડ્યા હતા, જેમાંથી એક યુવક નાહીને બહાર આવી નદી કાંઠે ઊભો હતો. તે યુવકના જણાવ્યા પ્રમાણે જે યુવકો નાહવા પડ્યા એમાંથી જશપાલ નામનો યુવક ડૂબી રહ્યો હતો, જેથી તેને બચાવવા અન્ય યુવકો ગયા હતા અને એ તમામ પણ ડૂબી ગયા. આઠેય યુવાનોના મૃતદેહને દહેગામના CHC સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં જ રેસ્ક્યૂ માટે ટીમ અને આજુબાજુનાં ગામમાંથી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા.

ગામના પૂર્વ સરપંચનું કહેવું છે કે ગણેશ વિસર્જન કરવા ગામના કેટલાક યુવાનો નદી પર ગયા હતા, જેમાં એક છોકરો ડૂબવા લાગતાં તેને બચાવવા માટે એક પછી એક સાત યુવાનો નદીમાં પડ્યા. અને આઠેયનાં મૃત્યુ થયા.
મૃતકોનાં નામ
ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ (ઉંમર – 19 વર્ષ)
ધર્મેન્દ્રસિંહ દલપાતસિંહ ચૌહાણ (ઉંમર – 18 વર્ષ)
યુવરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉંમર – 17 વર્ષ)
સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (ઉંમર – 17 વર્ષ)
પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉંમર – 20 વર્ષ)
રાજકુમાર બચુસિંહ ચૌહાણ (ઉંમર – 28 વર્ષ)
મુન્નાભાઇ દિલિપસિંહ ચૌહાણ (ઉંમર – 23 વર્ષ)
વિજયસિંહ હાલુસિંહ સોલંકી (ઉંમર – 30 વર્ષ)

પાટણમાં પણ બની હતી આવી જ ઘટના
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાટણમાં પણ આવી દુર્ઘટના બની હતી. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિની પત્ની , બે પુત્રો અને સાળો નદીમાં ગણેશ વિસર્જન કરવા જતાં સરસ્વતી નદીમાં ડૂબી ગયા હતા. જેમાં પણ પહેલાં એક પુત્ર ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતાં અન્ય સભ્યોના મૃત્યુ થયા.