શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત માનહાનિના કેસમાં દોષી સાબિત થયા છે અને તેમને 15 દિવસની સજા ફટકારવામાં આવી છે. મઝગાંવની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ડૉ. મેધા કિરીટ સોમૈયાની ફરિયાદ સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે. કોર્ટે તેને 15 દિવસની જેલ અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સંજય રાઉતને આઈપીસીની કલમ 500 હેઠળ સજા સંભળાવવામાં આવી છે.ભાજપના નેતા કિરીટ સોમૈયાના પત્ની મેધા સોમૈયાએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે શિવસેનાના નેતાએ તેમના પર પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આક્ષેપો કર્યા છે.

શું હતો મામલો?
સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે તે અને તેના પતિ મીરા ભાયંદરમાં સાર્વજનિક શૌચાલયના નિર્માણ અને જાળવણી સંબંધિત રૂ. 100 કરોડના કૌભાંડમાં સામેલ હતા. મેધા સોમૈયાએ રાઉત વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો આ અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ મામલામાં રાઉતને દોષી ઠેરવ્યો અને તેમને દંડ ફટકાર્યો અને તેની સાથે જ ભાજપના નેતાની પત્નીનું કહેવું છે કે તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે.વર્ષ 2022માં સંજય રાઉતે મેધા સોમૈયા પર મુંબઈના મુલુંડમાં શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ મેધાના પતિ અને બીજેપી નેતાએ રાઉતને આના પુરાવા આપવા પડકાર ફેંક્યો હતો. જ્યારે રાઉત પુરાવા રજૂ કરી શક્યા ન હતા, ત્યારે મેધા સોમૈયાએ તેમની સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
