સુરતમાં માનવતાને નેવે મૂકે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જીવનમાં જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી અને કોઈને તેની જાણ પણ નથી હોતી. પરંતુ સુરતમાં સ્મશાનના કર્મચારીઓ કહી રહ્યા છે કે દિવાળીના દિવસે ઘરે મહેમાન હોય ત્યારે તમે મૃતદેહ લઈને આવો છો. એટલે તેમના કહેવા પ્રમાણે હવે દિવાળીના તહેવારમાં ઘરના કોઈ સભ્યનું મૃત્યુ ન થવું જોઈએ.
આ પણ વાંચો – ફટાકડામાં વિસ્ફોટ થતાં એકનું મોત,6 દાઝ્યા

સ્મશાનના કર્મચારીનો અજુગતો જવાબ
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરમાં મહિલાનું મૃત્યુ થયું. દિવાળીના તહેવાર સમયે મીના બહેન રાઠોડ નામની મહિલાનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો શોકમાં હતા. મૃત્યુને અંતિમ સત્ય માનીને પરિવારજનો ભારે હ્રદયે મીના બહેનના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના મૃતદેહને લઈને અશ્વિનીકુમાર સ્મશાનગૃહ પર ગયા. પરંતુ સ્મશાન પર હાજર વૃદ્ધ કર્મચારીએ તેમને જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને સહુ કોઈ ચોંકી ઊઠ્યા.
શું કહ્યું સ્મશાનના કર્મચારીએ?
સ્મશાન ગૃહ પરના હાજર કર્મચારીએ તેમને કહ્યું કે,’જ્યારે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે તમે અહીં મૃતદેહ લઈને આવ્યા છો? અહીં કોઈ કર્મચારી નથી.’ આવું સાંભળીને મૃતકના સ્વજનો હેબતાઈ ગયા. માનવતાને નેવે મૂકી સ્મશાનના કર્મચારીએ મૃતકના પરિવારજનો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ મીના બહેનના અંતિમસંસ્કાર માટે તેમના પરિવારજનોને કલાકો સુધી સ્મશાનમાં રાહ જોવી પડી હતી.

સ્મશાનના મેનેજરે માગી માફી
જે વૃદ્ધ કર્મચારીએ આવા શબ્દો કહ્યા તેમનું નામ નિપુણભાઈ છે, તેઓ ક્લાર્ક છે અને તેમની 70 વર્ષની ઉંમર છે. આ ઘટના અંગે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહના મેનેજર સુભાષભાઈ થીયાને જાણ થતાં તેમણે કહ્યું કે, હું માફી માગું છું,આ ઘણી દુઃખદ ઘટના છે. નિપુણભાઈએ આવું કેમ કહ્યું તેના વિશે તેમણે જણાવ્યું કે તેઓ ક્લાર્ક છે, તેઓ કોઈ ચિંતામાં હશે. જો કે નિપુણભાઈ સામે કાર્યવાહીની પણ તેમણે ખાતરી આપી છે. અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે તેવું તેમણે કહ્યું.
વૃદ્ધ કર્મચારીનો વીડિયો પણ થયો છે વાયરલ
વૃદ્ધ કર્મચારીએ જે કહ્યું તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે- ‘દિવાળી સિવાય અન્ય દિવસ હોય તો પાંચ મિનિટમાં સમય આપી દઉં. કર્મચારીઓ રજા પર છે. એકની મા મરી ગઈ છે. દિવાળીના દિવસોમાં ઉતાવળ નહીં કરવાની.માણસો જ નથી અહીંયા. બીજા પણ છે તમે બીજા દિવસે ક્યારેય પણ આવો મને કોઈ વાંધો નથી. તમારે સાથે મને શું લેવા દેવા, મને મારી સાથે લેવા દેવા છે, અહીંયા માણસ જ નથી, રજા પર છે. બધાને દિવાળી હોય કે નહીં. તને શું કીધું ઉતાવળ નહીં કર. તમે ખરા ટાઇમે આવો છો,જ્યારે બધાના ઘરે મહેમાનો આવવાનો ટાઈમ હોય છે એ જ ટાઈમે તમે બોડી લઈને આવો છો. થોડુંક આગળ પાછળ પણ નહીં થાવ.આજે તમારો દિવસ ખરાબ થાય છે તો અમારો દિવસ પણ ખરાબ કરો છો. અમે દિવાળી નથી ઉજવવાના?’

મૃતકના સ્વજને વ્યક્ત કર્યો રોષ
મૃતકના સ્વજન કિશોરભાઈએ દુઃખ સાથે જણાવ્યું કે, સ્મશાનમાં અમને મૃતદેહ સાથે કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. તહેવાર હોય કે આડો દિવસ મરવાવાળા સમય લઈને નથી મરતા. જ્યારે તેમનો સમય આવે ત્યારે તેઓ જીવ ત્યાગી દે છે. હવે અંતિમસંસ્કાર માટે આ લોકોનો સમય લઈને આવું પડશે? અહીંના કર્મચારીઓ ચોપડા લઈને બેઠા છે તેમ છતાં કહે છે કે, તમામ કર્મચારીઓ રજા ઉપર છે.
