ચોટીલામાં રૂપિયા 2 કરોડ 21 લાખના ખર્ચે બનાવવામાં આવેલા એસટી બસ સ્ટેન્ડનું 2 દિવસ પહેલાં જ લોકાર્પણ કરાયું. પરંતુ લોકાર્પણના દિવસે જ ચોટીલા એસ ટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધ હાલતમાં હોય અંધાર પટ છવાયેલો હતો.
જે અંગે નમસ્તે ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા ચોટીલા બસ સ્ટેન્ડ પર લાઈટો તો ચાલુ થઈ ગઈ અને ઝબકારા મારતી સીરીઝ પણ ગોઠવવામાં આવી. પરંતુ બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે નવા નકોર પંખા બંધ હાલતમાં હોય મુસાફરોને ગરમીથી શેકાવાનો વારો આવ્યો.

એટલું જ નહિ પણ પૂછપરછની બારી પર પણ કોઈ કર્મચારી હાજર ન હોય સોમનાથ પરીક્ષા આપવા જઇ રહેલા પરીક્ષાર્થીઓ રોષે ભરાયાં હતાં. 3 કલાક જેટલો સમય તેમને ચોટીલા બસ સ્ટેન્ડમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.
તો કેટલાક બસ ચાલકો બસ સ્ટેન્ડમાં આવવાને બદલે હજુ પણ હાઈ વે પર જ મુસાફરોને ઉતારીને રવાના થઇ રહ્યા હોય લોકો બસ પકડવા માટે હાઇવે સુધી દોડતા જોવા મળ્યા. ત્યારે 2.21 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેન્ડમાં હાલ તો મુસાફરોને સુવિધા કરતા દુવિધા વધુ ભોગવવી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
