ચોટીલામાં શનિવારે રાત્રે થયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત થયું. ચોટીલાના મફતિયાપરામાં રહેલા ધરમશીભાઈ સિહોરાના પુત્ર ગૌતમને ટ્રકચાલકે ટક્કર મારતા ગૌતમનું કરુણ મોત નિપજ્યું. જેને લઈને સિહોરા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. થોડા દિવસો પહેલાં જ ધરમશીભાઈના પિતાનું પણ અવસાન થયું હતું. આમ 15 દિવસમાં ઘરમાં બે -બે મરણ થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે મૃતક ગૌતમ બાઈક પર સ્ટંટ કરવાનો શોખ ધરાવતો હતો. રોડ પર તે બાઈક લઈને સ્ટંટ કરી રહ્યો હતો એ દરમિયાન અકસ્માત થયો અને તેનું મોત નિપજ્યું.

એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચોટીલા ઉપરાંત આસપાસના વિસ્તારમાં કેટલાક એવા યુવાનો છે જેઓ અવારનવાર રોડ પર સ્ટંટ કરતા રહે છે. અને સ્ટંટ માટે શરત પણ લગાવે છે. જેમાં સ્ટંટ કરનાર યુવક જો જીતી જાય તો તેને 5 હજાર રૂપિયા મળે છે. અને હારી જાય તો 1 હજાર રૂપિયા આપવા પડે છે. આમ 1 હજારના 5 હજાર રૂપિયા મેળવવામાં ઘણા યુવાનો સ્ટંટ કરતા હોય છે. જેમાં 100થી 120 પ્રતિ કિમીની ઝડપે બાઈક ચલાવીને પછી હાથ છૂટા મૂકી દેવા, બાઈક પર સૂઈ જવું, વગેરે જેવા સ્ટંટ કરવામાં આવતા હોય છે. જેને લઈને પણ અકસ્માતો થતા હોય છે. ત્યારે ગૌતમે પણ શું સ્ટંટ કરવામાં તો જીવ નથી ગુમાવ્યોને તેવો પણ સવાલ થઈ રહ્યો છે.

અંતિમ સંસ્કાર માટે ગૌતમના મૃતદેહને તેમના મૂળ વઢવાણ તાલુકાના ચાણપર ગામે લઈ જવાયો હતો. બીજી તરફ પોલીસે આ કેસમાં ગૌતમને ટક્કર મારીને ભાગી જનાર ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.