ચોટીલાના જલારામ મંદિર સામે આવેલા એરૂડેશ્વર તળાવના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની આશંકાઓ ઊઠવા પામી છે. ચોટીલાના પશુધન માટે પીવાના પાણીના આધાર સ્ત્રોત સમાન આ એકમાત્ર તળાવ છે. 2 વર્ષ પહેલાં રૂપિયા 2 કરોડ 96 લાખના ખર્ચે તળાવનું બ્યૂટીફિકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસામાં પડેલા થોડા વરસાદમાં જ તળાવનો પાળો તૂટી ગયો હતો. જેને લઈને કામગીરીમાં ગેરરીતિ થયાની આશંકાઓ વ્યક્ત કરાઈ હતી.

ચોટીલા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન છબીલ વાઘેલાએ આ બાબતે RTI હેઠળ અરજી કરીને વિગતો માગી હતી. જેમાં તેમણે પેચિંગ કામ, તળાવની ઊંડાઈનું કામ, તળાવમાંથી બહાર કાઢવામાં આવતી માટીનું કામ, વગેરે બાબતે એક ડઝન જેટલા પ્રશ્નો કર્યા છે. જો કે મહિનો થવા છતાં તેમને એકપણ પ્રશ્નનો જવાબ નથી મળ્યો. જેને લઈને ભ્રષ્ટાચારની આશંકાઓ વધુ પ્રબળ બની છે. ચોટીલાના ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં RTIનો જવાબ આપી દીધાનું કહ્યું, પરંતુ અરજદાર સુધી કોઈ જવાબ ન પહોંચતા તેમણે આ અંગે પ્રાદેશિક કમિશનરની કચેરીએ અપીલ કરી છે.

ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર, મુખ્ય પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને તળાવના કામમાં ફાળવાયેલી રકમમાંથી મોટી રકમની કટકી કર્યાની ચર્ચાઓ થઈ રહી છે. નહીં તો સામાન્ય વરસાદમાં પાળો ન તૂટી જાય તેવું લોકોનું કહેવું છે. અબોલ પશુઓ માટે અમૃત સમાન તળાવના કામમાં ભ્રષ્ટાચાર આચરીને કોણે કોણે ગજવા ગરમ કરી લીધા? તેવો સવાલ ચોટીલાના સ્થાનિકો કરી રહ્યા છે.

જો તળાવના બ્યુટીફિકેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેની તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. ચોટીલાના પૂર્વ હોદ્દેદારે કરેલી એક RTIથી તંત્રના અધિકારીઓ અને ચૂંટણી સમયે મોટા ભા થઈને ફરતા રાજકીય નેતાઓની નિષ્ઠા જાણે એરણે ચડી છે.
