દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત મંત્રી બચુ ખાબડના પુત્રની મુશ્કેલી વધી છે. બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડને જામીન મળ્યાના થોડી વારમાં જ પોલીસે ફરી ધરપકડ કરી લીધી. રાજ્યકક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડે દાહોદની કોર્ટમાં જામીન અરજી કરી હતી. બંનેની જામીન અરજી કોર્ટે માન્ય રાખી હતી. જો કે જામીન મળ્યાના થોડા સમય પછી દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાતાં દાહોદ એલસીબીએ સબજેલમાં બહાર આવેલા કિરણ ખાબડની ફરી ધરપકડ કરી. જ્યારે બળવંત ખાબડને જેલમાંથી છૂટકારો મળ્યો છે. આ ઘટના પછી સમગ્ર રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

કિરણ ખાબડની ફરી કેમ ધરપકડ?
કિરણ ખાબડ વિરુદ્ધ બીજો ગુનો નોંધાયો હોય પોલીસે તેની ફરી ધરપકડ કરી. ધાનપુરના લવારીયા ગામમાં મનરેગાના કામો ન થયા હોવા છતાંય રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ. જેમાં કિરણ ખાબડની એજન્સીએ 79 કામોમાંથી 21 કામો ન કર્યા હોવાનો આરોપ છે. આમ છતાં રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ દાખલ થતાં ગુનો દાખલ કરાયો છે. કિરણ ખાબડની ફરી ધરપકડ થતાં ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે.
