અખંડ રામધૂનના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સહભાગી થવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને પુણ્યતિથિ મહોત્સવ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આગામી ચૈત્ર વદ- પાંચમના રોજ પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ છે. જે નિમિત્તે અમદાવાદમાં 31 માર્ચથી 7 એપ્રિલ સુધી અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સમગ્ર રાજ્ય તેમજ અન્ય રાજ્યોના નામી-અનામી કલાકારો અને મોટી સંખ્યામાં પ્રેમ પરિવારના લોકો હાજરી આપશે. આ દરમિયાન જુદા જુદા રાગ પર ‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્રની અખંડ ધુનની રમઝટ બોલશે. મહોત્સવના અંતિમ દિવસે પ્રેમભિક્ષુજી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેશે.

પ્રેમભિક્ષુજી મહારાજના પુણ્યતિથિ મહોત્સવ દરમિયાન રામધુનમાં બહાર ગામથી આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તથા ભોજન અને ચા-નાસ્તાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ નજીક આવેલા પટેલ ફાર્મમાં આ પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી રાજ્યના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મહુવા અને જૂનાગઢ જેવા શહેરોમાં ઘણા વર્ષોથી અખંડ રામધુન ચાલી રહી છે. અને દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે થોડા દિવસની અખંડ રામધુન સાથે ભવ્ય તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
