એક તરફ વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારની વાતો કરીને અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ આજે પણ ભ્રષ્ટ હોવાની અને લોકો તથા ભાજપના કાર્યકરોને હેરાન કરતા હોવાની વાત કરીને ભાજપના જ ધારાસભ્ય શામજી ચૌહાણે સહુને ચોંકાવી દીધા છે.

ભાજપના ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પોલીસ અધિકારીઓ પર ભડક્યા છે. ભાજપના કાર્યકરોને હેરાન કરતા પોલીસ અધિકારીઓ સામે તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લોકસભાની ચૂંટણીને લઈને ચોટીલામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. આ દરમિયાન ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા.
સંબોધન કરતાં તેઓ અધિકારીઓ પર ભડક્યા. તેમણે કહ્યું કે રાજકોટથી બામણબોર સુધી હાઈવે પર સાતથી આઠ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને વાહનચાલકોને રોકીને તેમને દંડ ફટકારવામાં આવે છે તેમજ વાહન ડિટેઈન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. આમાં ઘણા ભાજપના કાર્યકરોને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. જો આગામી દિવસોમાં અધિકારીઓ નહીં સુધરે તો ચૂંટણીના પરિણામો બાદ ભાજપના ધારાસભ્ય હોવા છતાં તેમણે ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન કરવું પડશે.