સુરતમાં આવેલું સાણિયા હેમાદ ગામ આખું ગુરુવારે હિબકે ચડ્યું હતું. ગામના સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા. કારણ હતું ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા બલદાણિયા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.
મૂળ અમરેલીના અને સુરતના સાણિયા હેમાદ ગામમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિઓ ગત મંગળવારે પોઇચામાંથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. અને 18 પૈકી 8 જેટલા લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા. ઘટના અંગે જાણ કરાતા ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી. જે પૈકી એકને બચાવી લેવાયો હતો. જ્યારે 7 લોકો નહોતા મળ્યા. ત્રણ દિવસની ભારે જહેમત બાદ ડૂબેલા લોકોમાંથી બુધવારે ત્રણના અને ગુરુવારે સાંજ સુધીમાં વધુ ત્રણના મળીને કુલ 6ના મૃતદેહ મળી આવ્યા. જ્યારે 7 વર્ષના બાળકનો મૃતદેહ લાપતા હોઈ તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.

ગુરુવારે મળી આવેલા મૃતકોમાં ભરતભાઈ બલદાણિયા અને તેમના બે પુત્ર મૈત્રક્ષ અને આર્નવના હતા. તથા ભરતભાઈના 11 વર્ષના ભત્રીજા વ્રજ બલદાણિયાનો મૃતદેહ બુધવારે મળી આવ્યો હતો. ગુરુવારે રાત્રે ચારેયના મૃતદેહો ઘરે લાવવામાં આવતા સાણિયા હેમાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ એકસાથે જોઈને ગામલોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. રાત્રે જ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ લઈ જવામાં આવી હતી. રાત્રિના સમયે મોટીસંખ્યામાં ગામલોકો સ્મશાન ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ચારેયના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવતા ગામના દરેક લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી.
મૂળ અમરેલીના અને થોડા વર્ષોથી સુરતમાં રહેતા હતા
ભરતભાઈ મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની હતા અને આશરે 10 વર્ષથી સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ મોજા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ભરતભાઈ સોસાયટીના આગેવાન તરીકે જવાબદારી નિભાવતા હ. તેઓ શ્રી ગોપી કૃષ્ણ મંડળ પણ ચલાવતા હતા.

બલદાણિયા પરિવારમાં ઘેરો શોક
નર્મદા નદીમાં ડૂબી મોતને ભેટેલા ભરતભાઈ બલદાણિયાના પુત્ર મૈત્રક્ષે ધોરણ -10ની પરીક્ષા પાસ કરી હતી. અને તેણે પરિણામમાં 87 ટકા મેળવ્યા હતા. મૈત્રક્ષ જ્ઞાનગંગા સ્કૂલમાં ટોપ 10માં આવ્યો હતો. સારા ટકા આવતા તેણે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો. મૈત્રક્ષની સ્કૂલ ચાલુ હતી પરંતુ તેના માતા પિતા અને ભાઈ જઈ રહ્યા હોય તે પોતે પણ પોઈચા ગયો હતો. જ્યાં તે પણ ડૂબી ગયો.