Homeગુજરાતદુષ્કર્મી નારાયણ સાઈને હાઈકોર્ટે આપ્યા જામીન; દુષ્કર્મી પિતાને મળવા જશે દુષ્કર્મી પુત્ર

દુષ્કર્મી નારાયણ સાઈને હાઈકોર્ટે આપ્યા જામીન; દુષ્કર્મી પિતાને મળવા જશે દુષ્કર્મી પુત્ર

દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઈને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. જોધપુર જેલમાં બંધ દુષ્કર્મી અને વૃદ્ધ આસારામને મળવા માટે નારાયણ સાઈએ 30 દિવસના જામીન માગ્યા હતા. જો કે હાઈકોર્ટે 30 દિવસના જામીન આપવા સહમત નથી થઈ. આસારામને મળવા માટે નારાયણ સાઈને હાઈકોર્ટે માત્ર 4 કલાકનો સમય આપ્યો છે.

આસારામની વૃદ્ધાવસ્થાને જોતા પુત્ર નારાયણ સાઈએ આસારામની મુલાકાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે બે જજની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. અંતે કોર્ટ દ્વારા પિતાને મળવા માટે પુત્રને 4 કલાકનો સમય આપ્યો છે.

નારાયણ સાઈએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે, આસારામની ઉંમર 86 વર્ષની છે. વૃદ્ધ અવસ્થા સંબંધિત તકલીફથી પીડાઈ રહ્યા છે. તેમને જોધપુર AIMSમાં અને આયુર્વેદિક હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. તેમની તબિયત બગડી રહી છે. હાર્ટ એટેક પણ આવેલા છે. એન્જીયોગ્રાફીમાં તેમની બે વેઈન 90 ટકા બ્લોક બતાવતી હતી. હિમોગ્લોબીન પણ ઓછું હતું અને ઇન્ટરનલ બ્લિડિંગ પણ થયું હતું. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી પણ પીડિત છે. જેથી તેમને મળવા જવા માટે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવે. ત્યારે હાઈકોર્ટે માનવતા દાખવતા હકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઈને જોધપુર લઈ જવાશે
કોર્ટે આદેશ કરતા નારાયણ સાઈને હવે ફ્લાઈટ દ્વારા સુરતથી જોધપુર જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાશે. જેમાં એક ACP,એક PSI,2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ પણ તેમની સાથે જશે. પોલીસ જાપ્તાનો તમામ ખર્ચ નારાયણ સાઈ દ્વારા ચૂકવવામાં આવશે. જે પૈકી 5 લાખ રૂપિયાની ડિપોઝિટ 7 દિવસની અંદર સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. જોધપુર જેલમાં બંધ આસારામને નારાયણ સાઈ 4 કલાક માટે મળી શકશે. નારાયણ સાઈ સિવાય અન્ય કોઈ વ્યક્તિ આસારામને નહીં મળી શકે. આસારામને નારાયણ સાઈ ક્યા દિવસે અને ક્યા સમયે મળશે તેનો નિર્ણય તંત્ર દ્વારા કરવાાં આવશે. કોર્ટના આદેશની કોપી જેલ ઓથોરિટીને ફેક્સ અને ઇ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે.

સરકારે વ્યક્ત કરી હતી ચિંતા
નારાયણ સાઈની જામીન અરજી સંબંધે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ બાબતે જુદી-જુદી તપાસ સંસ્થાઓના અહેવાલ સમર્થનમાં નથી. મુસાફરી સામે સરકારે વાંધો ઊઠાવ્યો હતો. નારાયણ સાઈના અનુયાયીઓના વર્તનને લઈને સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. અને અગાઉ અનિચ્છનીય બનાવ બની ચૂક્યા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ કાયદો વ્યવસ્થા કથળી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સરકારી વકીલે આસારામનો મેડિકલ રિપોર્ટ માંગવા કોર્ટને રજૂઆત કરી હતી. કારણ કે અગાઉ નારાયણ સાંઈ માતાના ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવી ચૂક્યો હોવાનું જણાવ્યું હતું. નારાયણ સાઈના અનુયાયીઓના ટોળા જામવાની શક્યતાને લઈને આરોપીની સુરક્ષા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે નારાયણ સાઈના વકીલે આશ્વાસન આપ્યું હતું કે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને.

RELATED ARTICLES

Most Popular