શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કે જયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોવાની માન્યતા છે. સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે. જેથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે.
અજા એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે એટલે કે ફરી જન્મ લેવો પડતો નથી. તેથી જ તેને અજા એકાદશી કરવામાં આવે છે. આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમનું રાજ્ય પાછુ મળી ગયું હતું. એટલે તેને જયા એકાદશી પણ કહેવામાં આવે છે.
અજા એકાદશીની વ્રત કથા
ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરન આ એકાદશીના મહત્વ અંગે જણાવ્યું હતું. કુંતીપુત્ર યુધિષ્ઠિરે એક વખત ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું : હે જનાર્દન ! તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. આ એકાદશીનું નામ શું છે અને તેનું માહાત્મ્ય શું છે?”
શ્રી કૃષ્ણ બોલ્યા :”હે રાજન ! શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અજા એકાદશી કહે છે. આનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે તેના સમસ્ત પાપો નષ્ટ થાય છે. આ લોક અને પર લોકમાં સહાયતા કરનારી આ એકાદશી સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશી ની કથા આ પ્રમાણે છે .
પ્રાચીન કાળમાં અયોધ્યામાં ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર રાજ કરતા હતા. તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતાં. એક વાર દેવતાઓએ તેમની પરીક્ષા લીધી.
જેથી તેમને સપનું આવ્યું અને સપનામાં તેમણે જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્ય દાન આપી દીધું છે. બીજે દિવસે જયારે વિશ્વામિત્ર એમનાં મહેલમાં આવ્યાં તો, રાજા હરિશ્ચંદ્રે એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથો સાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું !!!!
જતાં જતાં મહર્ષિ વિશ્વામિત્રે પાંચસો સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી. રાજા હરિશ્ચંદ્રે કહ્યું —
પાંચસો શું કામ, તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણમુદ્રાઓ લઇ શકો છો !” આના પર વિશ્વામિત્ર હસ્યાં અને એમને યાદ અપાવ્યું કે –
રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે. દાન કરેલી કોઈપણ વસ્તુ ફરીથી દાનમાં ના આપી શકાય !”
રાજાએ વિશ્વામિત્રને સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં આપવા માટે પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા. પરંતુ તેમ છતાં સુવર્ણ મુદ્રા પૂરી પાંચસો ના થઈ શકી, તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને વેચી નાંખી અને એ સુવર્ણમુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી !!
રાજા હરિશ્ચંદ્રએ પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો. જે સ્મશાનમાં આવતા મૃતકોને અગ્નિદાહ આપવાનું કામ કરતો હતો. અને અગ્નિદાહ આપવાના બદલામાં તેમના પરિવારજનો પાસેથી કર વસૂલ કરતો હતો.
એ ચંડાલે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું ! રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને અંતિમસંસ્કાર માટે આવે એની પાસેથી કર વસૂલ કરવો અને એ પછી જ અંતિમ સંસ્કારની મંજૂરી આપવી.
રાજા હરિશ્ચંદ્રએ આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પૂરી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતાં હતાં. પરંતુ એક દિવસ એવો પણ આવ્યો જયારે રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટાં દુઃખનો સામનો કરવો પડયો.
જ્યારે આ કામ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યા. તેઓ આની ચિંતામાં બેઠા હતાં ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યાં. હરિશ્ચંદ્રએ તેમને પ્રણામ કરીને પોતાનું દુઃખ સંભળાવ્યું. તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયાં અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો. તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે.
રાજા હરિશ્ચંદ્રએ અજા એકાદશીનું વ્રત રાખ્યું. રાત્રિના સમયે રાજા સ્મશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતાં. બહુ જ અંધારું હતું. એ સમયે એક લાચાર અને નિર્ધન સ્ત્રી રડતી રડતી ત્યાં આવી. એના હાથમાં તેનાં પુત્રનું શબ હતું ……
એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે તેણે પોતાની સાડી ફાડીને એ વસ્ત્રોથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. સત્યનિષ્ઠ રાજા હરિશ્ચંદ્રએ આ મહિલા પાસે પણ કર માંગ્યો. પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવાં લાગી તેણે રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે તેની પાસે બિલકુલ ધન નથી !!! એ જ સમયે આકાશમાં વીજળી ચમકી. વીજળીના ઝબકારામાં હરિશ્ચંદ્રને એ સ્ત્રીનો ચહેરો નજરે પડ્યો. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ તેમની પત્ની તારામતી હતી અને એનાં હાથમાં તેમનો જ પુત્ર રોહિત હતો. રોહિતનું સર્પ કરડવાથી મૃત્યુ થયું હતું.
પોતાની પત્નીની આ દશા અને પુત્રને મૃત જોઈને રાજા હરિશ્ચંદ્ર બહુ જ ભાવુક થઇ ગયા. એમની આંખો માં આંસુ ભરાઈ આવ્યાં . તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતા
ભારે મનથી એમણેપોતાની પત્નીને કહ્યું કે જે સત્યની રક્ષા માટે એમણે પોતાનાં રાજ-પાટ નો ત્યાગ કર્યો હતો અને પોતાનાં પરિવારને વેચ્યો હતો એ સત્યની આજે પણ તેઓ રક્ષા કરશે!” તેમણે કહ્યું કે કર લીધા વિના તને અંદર નહીં જવા દઉં. પતિની વાત સાંભળીને રાણી તારમતીએ પોતાની ધીરજ ના ખોઈ અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કર રૂપે આપી દીધો !!

એ જ સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમણે રાજાને કહ્યું ——” રાજન, તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્યનિષ્ઠા મહાન છે …….. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો !!!!”
હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું ” જો સાચે જ મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપા કરી આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો ……!!!” એટલા માં જ રોહિત ફરી જીવિત થઇ ગયો… અને ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રએ પણ હરીશચંદ્રને એમનાં રાજપાટ પાછાં આપી દીધાં ! આમ રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું અને સત્યનું જીવનભર પાલન કર્યું. જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું. વ્રતના પ્રભાવ થી તેઓ જીવનના અંત સમયે પોતાના પરિવાર સાથે સ્વર્ગ લોકમાં ગયા.
પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનુ વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય