દીવાળીના તહેવાર સમયે આણંદના આંકલાવમાં દુઃખદ ઘટના બની છે. આણંદના આંકલાવમાં ખેત મજૂરી કરતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આંકલાવમાં ખેતમજૂરી કરતા બે કુટુંબી ભાઈઓના બે બાળકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા છે. કુટુંબના 3 બાળકો રમતા રમતા તળાવ પાસે પહોંચ્યા હતા. દરમિયાન પગ લપસી જતાં ત્રણેય બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા. જે અંગે જાણ થતાં આસપાસના સ્થાનિકોએ બાળકોને બચાવવા પ્રયાસ કર્યા. ત્રણ પૈકી એક બાળકને સ્થાનિકોએ બચાવી લીધું. પરંતુ અન્ય બે બાળકોને ન બચાવી શકાયા અને તળાવમાં ડૂબી જતાં બંને બાળકોના કરુણ મોત નિપજ્યા.

એક બાળકને બચાવી લેવાયું
મળતી માહિતી પ્રમાણે આંકલાવના કબીરનગર પાસે જનકભાઈ પઢીયાર રહે છે. અને થોડે દૂર તેમના કુંટુંબી ભાઈ મહેશભાઈ પઢીયાર રહે છે. જનકભાઈ પઢીયારને સંતાનમાં ૬ વર્ષનો દક્ષ અને ૩ વર્ષનો જયેશ છે, જ્યારે મહેશભાઈને યુવરાજ નામનો ત્રણ વર્ષનો પુત્ર છે. મંગળવારે ધન તેરસના દિવસે સાંજના સમયે બાળકોની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. અને બાળકોના પિતા મજૂરીકામે ગયા હતા. એ સમયે દક્ષ, જયેશ અને યુવરાજ ત્રણેય બાળકો ઘર પાસે આવેલા તળાવ પાસે રમી રહ્યા હતા. દરમિયાન, રમતાં-રમતાં ત્રણેય બાળકોના પગ લપસતાં તેઓ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા. તળાવમાં ડૂબી રહેલા બાળકોને બચાવવા માટે તળાવ આસપાસ રહેલા લોકો પૈકી કેટલાક લોકોએ તળાવમાં છલાંગ લગાવી હતી અને જયેશને બચાવી લેવાયો હતો.પરંતુ, દક્ષ અને યુવરાજ નામના બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.એક જ કુટુંબના બે બાળકોના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.