Homeગુજરાતબાલાજીની વેફરમાંથી નીકળ્યો મૃત દેડકો; લોકોના આરોગ્ય અને વિશ્વાસ  સાથે ચેડાં

બાલાજીની વેફરમાંથી નીકળ્યો મૃત દેડકો; લોકોના આરોગ્ય અને વિશ્વાસ  સાથે ચેડાં

કોઈ વારનો ઉપવાસ હોય, એકાદશીના ઉપવાસ હોય, શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે નવરાત્રિના ઉપવાસ હોય, મોટા ભાગના લોકોનો બાલાજી પર અતૂટ વિશ્વાસ જોવા મળતો હતો. પરંતુ આ વિશ્વાસ હવે તૂટી ગયો છે. કારણ કે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે.

છેલ્લા થોડા દિવસોથી ખાણી-પીણીની વસ્તુઓમાંથી માનવામાં ન આવે તેવી વસ્તુઓ નીકળવાની ઘટનાઓ વધી રહી છે. જે ખરેખર ઘણી જ ગંભીર બાબત છે.   થોડા દિવસ પહેલાં આઈસ્ક્રીમમાંથી વ્યક્તિની આંગળી નીકળી હતી અને હવે બાલાજીની વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. જામનગરમાં જસ્મિન પટેલની ભત્રીજીએ પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજીની ક્રન્ચેક્સ વેફરનું પેકેટ ખરીદ્યું હતું. અને ઘરે આવીને એ પેકેટ ખોલતાં તેમાંથી મૃત હાલતમાં દેડકો મળતાં બધા ચોંકી ઊઠ્યા. એ વેફરના પેકેટને વાળીને મૂકી દીધું અને પ્રોવિઝન સ્ટોરવાળાનો સંપર્ક કરતાં તેમણે બાલાજીના ક્સટમર કેરનો  સંપર્ક કરવાનું કહ્યું. ત્યાં કોલ કરવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. અંતે જામનગર કોર્પોરેશનના ફૂડ વિભાગનો સંપર્ક કરવામાં આવતા ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.

જો કે આ અંગે બાલાજી કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું કે તેમનો પ્લાન્ટ ઓટોમેટિક છે એટલે પેકેટમાં  આ રીતે દેડકો જાય તે શક્ય જ નથી. છતાં અમે તપાસ કરી રહ્યા છીએ.

દુકાનદાર સાથે વાત કર્યા બાદ કંપનીના નંબર પર કોલ કરવામાં આવતા એ નંબર પરથી જે જવાબ મળ્યો તે ખૂબ જ વિચારણા માગી લે તેવો છે. જસ્મિન પટેલનું કહેવું છે કે તેમણે બાલાજીના કસ્ટમર કેરમાં વાત કરતા એવો જવાબ મળ્યો કે તમારે જે કરવું હોય એ કરો, અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે. તમે એ પેકેટ મૂકીને બીજું પેકેટ લઈ લો. જસ્મિન પટેલનું કહેવું છે કે તેની નવ મહિનાની દીકરી અને તેની ભત્રીજી આ પેકેટમાંથી વેફર ખાતા હતા. અને જો કોઈને કશી તકલીફ થઈ હોય તો તેનું જવાબદાર કોણ હોત?

આ તરફ એજન્સીના સંચાલકનું કહેવું છે કે અમારો 20 વર્ષથી બિઝનેસ છે, આટલાં વર્ષથી આવું બન્યું નથી. ખૂલેલું પેકેટ છે અને અંદર કંઇક દેડકા જેવું જીવજંતુ છે એવું કહે છે. અમને બોલાવ્યા તો અમે જોવા આવ્યા છીએ. પેકેટ ખૂલ્યા બાદ જ અંદર શું છે એ ખબર પડે ને એવા સવાલમાં કમલેશ ગંગતાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

બાલાજી વેફર્સનાં માર્કેટિંગ મેનેજરનું કહેવું છે કે વેફરના પેકેટમાંથી ફ્રાય થયેલો દેડકો નીકળવું શક્ય નથી લાગી રહ્યું. કારણ કે, તેમના પ્લાન્ટમાં ફૂડ સેફ્ટીના નિયમો મુજબ મેકિંગ પ્રોસેસ થાય છે. પ્લાન્ટમાં બટેકાની ચીપ્સ લાલ થઈ ગઈ હોય તો પણ તે બહાર ઓટોમેટીક નીકળી જાય છે તો આ રીતે દેડકો ફ્રાય થઈને પેકેટમાં પેક થઈને બહાર માર્કેટ સુધી પહોંચે તે શક્ય નથી. છતાં વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ કરીએ છીએ.

આ તરફ જામનગર ફૂડ વિભાગના અધિકારીનું કહેવું છે કે બાલાજીની વેફરમાંથી દેડકો નીકળ્યાની ટેલિફોનિક જાણ થતાં અમે તપાસ માટે પહોંચી ગયા હતા. પેકેટને ખોલીને ચેક કરવામાં આવતા ચીપાઇ ગયેલો દેડકો જોવા મળ્યો છે. જેને લઈને આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

વેફરના પેકેટમાં મૃત દેડકો ક્યાંથી આવ્યો તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ આ ઘટના બાદ લોકોનો બાલાજી પરનો વિશ્વાસ જરૂર ઊઠી ગયો છે.

RELATED ARTICLES

Most Popular