Homeવિશ્વબાંગ્લાદેશમાં હજુ પણ તંગદિલી; ઉચ્ચ અધિકારીઓના રાજીનામા અને હિંસાનો માહોલ

બાંગ્લાદેશમાં હજુ પણ તંગદિલી; ઉચ્ચ અધિકારીઓના રાજીનામા અને હિંસાનો માહોલ

બાંગ્લાદેશમાં હજુ પણ અશાંતિનો માહોલ છે. દેશમાં ટોચની સરકારી કચેરીઓ ખાલી થઈ ગઈ છે. નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે  અશાંતિના માહોલમાં દેશ ચલાવવા માટે શપથ લીધા. પરંતુ વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશમાં તેની હાજરી હજુ સુધી જોવા નથી મળી. સેનાના સમર્થનથી વચગાળાની સરકાર બનાવનાર યુનુસે શનિવારે રંગપુરની મુલાકાત દરમિયાન લોકોને શાંતિની અપીલ કરી હતી. પોલીસ દ્વારા ગોળી મારવામાં આવેલા વિદ્યાર્થીની માતાને પણ ગળે લગાવીને તેમણે આશ્વાસન આપ્યું હતું.

શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે.એવામાં તેમણે ધાર્મિક એકતા જાળવી રાખવા પણ અપીલ કરી. બીજી તરફ તંગદિલીભર્યા માહોલ વચ્ચે ટોચના અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. બાંગ્લાદેશના કેન્દ્રીય બેંકના વડા ગવર્નર અબ્દુલ રઉફે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્રણ દિવસ પહેલા 100 થી વધુ બેંક અધિકારીઓએ તેમની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમના રાજીનામાની માંગ કરી હતી. રઉફે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને પદ પરથી રાજીનામું આપ્યું છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના વફાદાર ગણાતા મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનને પણ તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો છે. કારણ કે વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને પણ ઘેરી લીધી હતી. પદ છોડવા માટે એક કલાકનું અલ્ટીમેટમ આપ્યા પછી સુપ્રીમ કોર્ટના વધુ પાંચ ન્યાયાધીશોએ પણ રાજીનામું આપી દીધું.

આ પણ વાંચો- ‘કોથળીમાંથી બાળક છૂટું પડી ગયું છે’ ડોક્ટરના કહ્યા બાદ ગર્ભપાત કરાવતા સગર્ભા મહિલાનું મોત

રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને  સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટ વિભાગના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ સૈયદ રેફાત અહેમદને દેશના 25મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. દેશના માર્કેટ રેગ્યુલેટરના વડાએ પણ રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ પ્રોફેસર શિબલી રૂબાયત-ઉલ ઈસ્લામ ઘણા દિવસોથી કામ પર આવતા ન હતા. તેમણે પણ સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપી દીધું છે.  બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર, ખાસ કરીને હિંદુઓ પરના હુમલાએ ચિંતા વધારી દીધી છે. ચટગાંવ શહેરમાં એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો અને દેશના નાગરિકો તરીકે સુરક્ષા અને સમાન અધિકારોની માંગ કરી હતી, કારણ કે બાંગ્લાદેશમાં પણ હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે.

ગોપાલગંજમાં અવામી લીગના સરઘસમાં અથડામણ થતાં  સૈન્યના પાંચ જવાનો ઘાયલ થયા હતા અને એક લશ્કરી વાહનને આગ લગાડવામાં આવી હતી. લઘુમતી સમુદાયો પર અત્યાચારની ઘણી ઘટનાઓ બની છે. પોલીસ સાથેની અથડામણમાં 400 થી વધુ પ્રદર્શનકારીઓના મોત બાદ ટોળા દ્વારા હુમલાના ડરથી શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

લશ્કરી હેલિકોપ્ટરમાં તેમણે કમ્પાઉન્ડ છોડ્યાના થોડા કલાકો બાદ જ વિરોધીઓએ તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. આ તરફ થોડા કલાકો પછી, તેમણે ઉત્તર પ્રદેશ, ભારતના એરબેઝ પર ઉતરાણ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular