દેવભૂમિ દ્વારકામાં આવેલા મોગલ માતાના ધામ ઓખાધર-ભીમરાણાના મહંત શ્રી ઘનશ્યામગિરી બાપુનું દુખદ અવસાન થયું છે. 19 ઓગસ્ટના રોજ રાત્રિના 9 વાગ્યે ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થતાં શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘનશ્યામગિરી બાપુએ 94 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ત્યાર બાદ 20 ઓગસ્ટના રોજ તેમને ભીમરાણા ખાતે સંત પરંપરા મુજબ સમાધિ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો તેમજ ભક્તો હાજર રહ્યા હતા. અને બાપુને ભાવભીની વિદાય આપવામાં આવી. ભીમરાણા મોગલ માતાનું જન્મસ્થાન ગણાય છે. અને ઘનશ્યામગિરી બાપુ રાધા માના એક મત્ર શિષ્ય હતા. જેમનું દેહાવસાન થતાં ભક્તો શોકમગ્ન થઈ ગયા છે.

વર્ષ 2002 પહેલાં ઘનશ્યામગિરી બાપુ અન્ય જુદી જુદી જગ્યાએ સેવા પૂજા કરતા હતા અને 2002થી ભીમરાણામાં રહીને માતાજીની સેવા પૂજા કરતા હતા. ભીમરાણા તેમની સેવા પૂજાનું અંતિમ સ્થાન બની રહ્યું. 2002થી 2024 દરમિયાન ભીમરાણામાં રહીને માતાજીની સેવા પૂજાની સાથે સાથે તેમણે ઘણા વિકાસના કાર્યો કર્યા.

વર્ષો પહેલાં અહીં ખુલ્લું ખેતર હતું અને નાની જગ્યામાં માતાજી બિરાજમાન હતા. જો કે એ સમયે આ સ્થળ લોકોમાં બહુ જાણીતું નહોતું. થોડા સમય બાદ અહીં શ્રદ્ધાળુઓ દ્વારા નાનો ઓરડો બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2002માં ઘનશ્યામગિરી બાપુ અહીં આવ્યા અને તેમણે માતાજીનું મંદિર બનાવડાવ્યું. મંદિર ઉપરાંત તેમણે અહીં ધર્મશાળા બનાવડાવી અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું. જે આજે પણ ચાલુ છે. મંદિરના વિકાસના કાર્યો થતા રહે તે માટે 2017માં તેમણે મંદિર ટ્રસ્ટની રચના કરી. જેમાં જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી સહિત 15 ટ્રસ્ટીઓ છે.

આશરે 1300 વર્ષ પહેલાં આસો સુદ 13ના દિવસે દેવસુર ધાંધણીયા અને રાણબાઈમાંના ઘરે મોગલ માતાજીનો જન્મ થયો હતો. તેથી એ દિવસને માતાજીના પ્રાગટ્યોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે અહીં ડાયરા સહિતના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં કીર્તિદાન સહિતના કલાકારો ડાયરામાં આવે છે. ઘનશ્યામગિરી બાપુના પ્રયાસથી આજે ભીમરાણા સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. મોગલ માતાજી બાપુને તેમના ચરણોમાં વાસ આપે તેવી ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી.