પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે. એવામાં ભાજપના વધુ એક નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. અને આ નિવેદન પણ રાજા-મહારાજા અંગેનું છે. જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ વધુ ભડકી ઊઠ્યો છે.

જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે રાજા મહારાજાની પટરાણીઓ અંગે નિવેદન આપ્યું, લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢના વિસાવદર તાલુકામાં ભાજપનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. જેમાં કાર્યકરોને સંબોધન કરતા કિરીટ પટેલે કહ્યું કે ‘ભારતમાં એક સમય એવો હતો કે જ્યાં રાજા-મહારાજાની પટરાણી લુલી હોય કે લંગડી હોય તેમના કુખેથી જન્મ લેનાર સંતાન જ રાજા બનતો હતો પરંતુ હવેના સમયમાં રાજા મતપેટીમાંથી પેદા થાય છે.’
કિરીટ પટેલે આવું નિવેદન આપતાં ક્ષત્રિય સમાજમાં ફરી એક વાર રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ કિરીટ પટેલને ફોન કરીને પણ ટકોર કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ નિવેદન બાદ કિરીટ પટેલે એક વીડિયો જાહેર કરીને માફી માગી છે. જેમાં તેમણે કહ્યું કે મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો ક્ષમા માગું છું. મારો આશય કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો.’
જો કે કિરીટ પટેલના આ નિવેદન બાદ લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપમાં જાણે ચીલો ચીતરાયો હોય તેમ લાગી રહ્યું છે કે પહેલાં અપમાન કરવું અને પછી માફી માગી લેવી. કિરીટ પટેલના નિવેદન મામલે ક્ષત્રિય સમાજના આગેવાન જયદેવ ચૂડાસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પગલાં લેવા માગ કરી છે.
મહત્વનું છે કે આ પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પણ રાજા મહારાજા અંગે વિવાદિત ટિપ્પ્ણી કરી હતી. રૂખી સમાજના એક કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા. જે કાર્યક્રમ ચૂંટણીલક્ષી નહોતો. પરંતુ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે વર્ષો પહેલાં અંગ્રેજો સામે રાજા-મહારાજા પણ ઝૂકી ગયા હતા અને રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. પરંતુ રૂખી સમાજ અંગ્રેજો સામે નહોતો ઝૂક્યો. રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો. જે બાદ રૂપાલાએ માફી પણ માગી પરંતુ ક્ષત્રિયોએ રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી રદ કરવાની માગ કરી હતી. જે ઉમેદવારી રદ ન કરાતા ક્ષત્રિય સમાજના લોકો હજુ પણ વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ અનશન શરૂ કરવામાં આવ્યા છે. એવામાં કિરીટ પટેલના આવા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ વધુ ફેલાય તે સ્વાભાવિક છે. કિરીટ પટેલના નિવેદન બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.