રાજકોટમાં ભાજપના હોદેદ્દારોને એક મહિલા પોલીસ અધિકારીએ કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું. શહેરના કિશાનપરા ચોક ખાતે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબરપ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા. જેથી કાયદાનો ભંગ થઈ રહ્યો હોય પોલીસે આ કારને અટકાવીને ડિટેઇન કરી. કાર ડિટેઈન થતાં જ ભાજપ કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરવા લાગ્યા. જોકે ડીસીપી ટસના મસ ન થયાં અને ત્રણેય કારને ડિટેઇન કરી. ભાજપના કાર્યકરોની કાર પોલીસે ડિટેઈન કરતા પોલીસની કામગીરીના લોકો વખાણ કરવા લાગ્યા હતા.

જો કે કાર ડિટેઈન કરવામાં આવ્યા બાદ સત્તાધારી પક્ષના મહિલા ધારાસભ્યએ વચ્ચે પડ્યાની વાતો સામે આવી. મહિલા ધારાસભ્ય ડો.દર્શિતાએ આ મામલે ભલામણ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. આ મામલે ધારાસભ્ય ડો. દર્શિતાએ જણાવ્યું કે અમારા કાર્યકર્તાઓની કાર ડિટેઇન કરવામાં આવી હતી. જે બાદ પોલીસ વિભાગનું માર્ગદર્શન માગવા માટે તેમણે ડીસીપીને ફોન કર્યો હતો અને પોલીસના કહેવા પ્રમાણે આરસી બુક જમા કરાવીને કારને છોડાવવામાં આવી છે. તેમણે કહ્યું કે નિયમો બધા માટે સરખા છે. ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે. ભવિષ્યમાં આવું ન બને એ માટે કાર્યકર્તાઓને સૂચના આપી છે. મારા સહિત દરેક કાર્યકર્તા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે.

જે ત્રણ કાર ડિટેઈન કરવામાં આવી હતી તે કારમાં નંબર પ્લેટ નહોતી પરંતુ ભાજપના હોદ્દેદારોની પ્લેટ જરૂર મૂકવામાં આવેલી હતી. કારને ડિટેઈન કરવાની વાત થતાં ભાજપના 10 જેટલા કાર્યકરો ખેસ પહેરીને આવી ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. જો કે ડીસીપી પૂજા યાદવનું આકરું વલણ જોઈને ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઢીલા પડ્યા હતા જ્યારે ભાજપના બે આગેવાન કાર છોડીને કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાંથી ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલિયા, મહામંત્રી બાબુ માટિયા સહિતના આગેવાનોને લઈને પહોંચ્યા હતા, ભાજપના આગેવાનોએ સ્થળ પર દંડ વસૂલી કાર છોડી દેવા કહ્યું હતું. પરંતુ ડીસીપી યાદવે કાયદો તમામ માટે એકસમાન છે એમ કહી કાર ડિટેઇન થશે તેવું કહી દેતાં આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા.

ડિટેઈન કરાયા બાદ ત્રણેય કાર શીતલપાર્ક ડેપો ખાતે લઈ જવાઈ હતી અને ત્યાં RTOનો મેમો આપી આરસી બુક કબ્જે કરી કાર પરત આપવામાં આવી હતી. મેમો ભરેલી પહોંચ રજૂ કર્યા બાદ ત્રણેય કારની આરસી બુક પરત કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કરેલી કામગીરીની રાજકોટ વાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. અને આવી કામગીરી નિયમ ભંગ કરતા દરેક રાજકીય નેતા સામે થવી જોઈએ પછી ગમે તે પક્ષના કેમ ન હોય તેવું લોકો કહી રહ્યા છે.
