રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર સાયલાના શાપર ગામે એક ગાયનો અકસ્માત સર્જાયો હતો. જે અંગે જાણ કરાતા ચોટીલાથી ગૌરક્ષા ટીમના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ સહિત અન્ય સભ્યો અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં ગૌ માતાનો એક પગ અને શીંગડું ભાંગી ગયું હતું તેમજ ઘણું લોહી પણ નીકડી ગયું હતું. જેને લઇને ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇન 1962 માં ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ હેલ્પલાઇન નંબર પર એવો જવાબ મળ્યો કે સાંજના 5 વાગ્યા સુધી જ અમારી ટીમ આવે છે 5 પછી નહીં.

હેલ્પલાઈન નંબર પરથી આવો જવાબ મળતાં ગૌરક્ષકો નિરાશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઈવે પર ડોડીયા બાઉન્ડ્રી સુધી રોડ પર મોટી સંખ્યામાં ગૌ વંશ જોવા મળે છે. મોટાભાગે રાત્રિના સમયે આ ગૌ વંશનો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. આવા સમયે એનિમલ હેલ્પલાઇન ની સારવાર માત્ર 5 વાગ્યા સુધી જ કેમ એવો સવાલ થાય છે? આ સારવાર 24 કલાક મેળવી જોઈએ તેવી ગૌ રક્ષકોની માંગ છે. આના માટે જિલ્લાના સાંસદ અને ચોટીલાના ધારાસભ્યએ બને એટલી વહેલી તકે જરૂરી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તેવું ગૌ રક્ષકોનું કહેવું છે. ઇજાગ્રસ્ત ગાયની હાલત વધુ ગંભીર હોય રાજકોટ કરુણા ફાઉન્ડેશન ગૌશાળામાં ઓપરેશન માટે તાત્કાલિક મોકલવામાં આવી હતી.
