ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટીના ઉઠમણા મામલે મોડે મોડે પોલીસે ફરિયાદ નોંધી છે. ચોટીલામાં જય ચામુંડા ક્રેડિટ સોસાયટી દ્વારા અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના અંગે બેએક મહિના પહેલાં નમસ્તે ગુજરાતે અહેવાલ દર્શાવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી અને હવે 2 મહિના પછી આ કેસમાં ચોટીલા પોલીસ સ્ટેશન અને થાનગઢ પોલીસ સ્ટેશન – એમ બે અલગ અલગ પોલીસમથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ચોટીલા પોલીસમથકે અરજણભાઈ ખાંભલા, રાજાભાઈ ઘીયડ, ખોડાભાઈ ખાંભલા સહિતના ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ જ્યારે થાનગઢમાં પણ અરજણભાઈ ખાંભલા, ધર્મેન્દ્ર પ્રજાપતિ સહિતના ક્રેડિટ સોસાયટીના અન્ય સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ સાથે મળીને ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની મંડળી બનાવી હતી. લોભામણી સ્કીમ આપીને 150 રૂપિયા ફી લઈને ઘણા લોકોને મંડળીના સભ્ય બનાવ્યા હતા. દર મહિને ડ્રો કરવાનું કહીને રોકાણકારો પાસેથી એજન્ટ મારફતે દરરોજ થોડા થોડા રૂપિયા ઉઘરાવ્યા. રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ થોડા મહિનાઓ સુધી ડ્રો કરીને તેમને મોટી રકમ આપી. પરંતુ થોડા મહિનાઓ પછી ડ્રો કરવાનું બંધ કરી દીધું. જેને લઈને રોકાણકારોના રૂપિયા ફસાઈ ગયા. આમ રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

ચોટીલા પોલીસ મથકે રૂપિયા 1 કરોડ 80 લાખથી વધુની રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે થાનગઢમાં 16 લાખથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદ પછી પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન આરોપીઓની મિલકતો પણ જપ્ત કરવામાં આવી શકે છે. તેમજ તેમણે થોડા દિવસોમાં કોઈ મિલકત વેચી છે કે કેમ અને કોને વેચી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જો કે સમગ્ર ઘટના સામે આવ્યાના 2 મહિના પછી પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે.