ચોટીલામાં ત્રણ વર્ષ પછી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોટીલા શહેરમાં પ્રવેશતાં જ રોડ ઉપર કચરાના ઢગલા જોવા મળતા હતા. પાલિકા દ્વારા જ આ કચરો અહીં ઠાલવવામાં આવતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેને લઈને ગંદકી ફેલાતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બસ સ્ટેશન રોડ પર માટીના ઢગલા જોવા મળતા હતા અને બાવળિયાના કારણે અડધો રોડ ઢંકાઈ જતા વાહનચાલકોને અકસ્માતનો ડર લાગી રહ્યો હતો.

રહીશોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નહોતી આવતી. જેને લઇને રહીશોમાં આક્રોશ હતો. જો કે હવે ત્રણ વર્ષ પછી પાલિકાએ સફાઈ કામગીરી શરૂ કરતાં સ્થાનિકોને હાશકારો થયો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ચોટીલામાં નવા આવેલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ ગંદકી, પાણી, સ્ટ્રીટ લાઈટો વગેરે જેવી સમસ્યાઓનો નિકાલ લાવવાનો આદેશ કરતા પાલિકા તંત્ર દોડતું થયું અને કામગીરી હાથ કરી.
