સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલા પંથકને પાંચાળ પ્રદેશ તરીકે ઓળવામાં આવે છે અને આ પાંચાળ ભૂમિમાં દેવોનો વાસ હોવાની માન્યતા છે. ચોટીલા પંથકની ભૂમિ સંત, શૂરાની પવિત્ર ભૂમિ ગણાય છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પાંચાળ ભૂમિમાં થયો હતો. ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો, તળાવો, શિવાલયો અને ગુફાઓ આવેલાં છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઈતિહાસ છે. એવો જ ઈતિહાસ પ્રાચીન શિવાલય ઝરીયા મહાદેવનો છે.

ગુફાઓની વચ્ચે બિરાજમાન ઝરીયા મહાદેવ
ચોટીલાના માંડવ વનમાં આવેલા આ ઝરીયા મહાદેવ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે, કુદરત રચિત બનેલી ગુફાઓમાં શિવલિંગ બિરાજમાન છે અને આ ગુફાઓની ચોતરફની દિવાલોમાંથી બારેય માસ અને ચોવીસ કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવા જળનો અભિષેક શિવલિંગ પર થતો રહે છે. ગુફાની દીવાલોમાંથી શિવલિંગ ઉપર થતાં જળના અભિષેકનું રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. આ પાણીનુ મૂળ સ્ત્રોત ક્યાં છે? અને ગુફાઓની દીવાલોમાંથી કઈ જગ્યાએથી પાણી આવે છે ? તે હજુ સુધી કોઇ જ જાણી શક્યું નથી.
મહાકાળી માતાજી પણ છે બિરાજમાન
આ ઝરીયા મહાદેવની ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી પણ ગુફા છે. જે અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાતના પર્યટકો અહીં દર્શન માટે આવે છે. ચોટીલા તાલુકામાં આવેલા અનેક પ્રાચીન સ્થળોમાં ઝરીયા મહાદેવના મંદિરનું આગવું સ્થાન છે. ચોતરફ લીલોતરી અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ મંદિરની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓને એક અલગ જ અનુભવ થાય છે.

બારે માસ થતો રહે છે જળાભિષેક
કહેવાય છે કે, મહાદેવ એકાંત વધુ પ્રિય છે. સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું ભોળાનાથ વધુ પસંદ કરે છે. આવી જ એક જગ્યા છે ચોટીલાના માંડવ વનમાં આવેલું ઝરીયા મહાદેવનું મંદિર. જ્યાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે અને આ શિવલિંગ પર બારે માસ અવિરત જળાભિષેક થતો રહે છે. સુરેન્દ્રનગરથી આશરે 68 કિલોમીટર દૂર આવેલા અલૌકિક મંદિરમાં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ખાસ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનો મેળાવડો જામે છે. દૂર-દૂરથી ભાવિકો અહીં ભોળાનાથના દર્શનાર્થે આવે છે.
પાંડવાઓ ઝરીયા મહાદેવની સ્થાપના કર્યાની માન્યતા
આ મંદિરમાં બારેમાસ ગુફાઓના પથ્થરોમાંથી અવિરત પાણી ઝરતું રહે છે અને તેનાથી શિવલિંગનો અભિષેક થતો રહે છે તેથી જ આ શિવલિંગ ઝરીયા મહાદેવ તરીકે ઓળખાતું હોવાનું માનવામાં આવે છે. વર્ષોથી અહીં દર્શને આવતા ભક્તોને પણ ખ્યાલ નથી કે, આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે. કેટલાક વયોવૃદ્ધ ભક્તોના કહેવા પ્રમાણે બાર વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ ભૂમિ પર વસવાટ કર્યો હતો. અને આ મંદિર પાંડવોના સમયથી અહીં હોવું જોઈએ. અને પાંડવોએ નિત્ય પૂજા માટે આ ઝરીયા મહાદેવની સ્થાપના કરી હોવી જોઈએ. કહેવાય છે કે, પાંડવો ઝરીયા મહાદેવની નિત્ય પૂજા કરતા હતા.
પથ્થર પર પથ્થર મૂકવાની અનોખી માન્યતા
આ મંદિરની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમાન છે. ચોમાસામાં જ આ વિસ્તાર લીલોછમ થઈ જાય છે. અને કુદરતી સૌંદર્ય ખીલી ઊઠે છે. જો કે ગુફાની શીલાઓમાંથી પાણી બારેમાસ ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજ દિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. અહીં પથ્થર ઉપર બીજો પથ્થર મૂકવાની એક અનોખી માન્યતા છે.એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘર બને છે.

પ્રકૃતિના સૌંદર્યથી ભરપુર રમણીય સ્થળ
અહીં પથ્થરની એક મોટી શીલા નીચે મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણીથી શિવલિંગનો અભિષેક થાય છે અને એ પાણી પછી આગળ એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે લે છે. ગુફામાં પ્રવેશતા જ અનોખી શીતળતાનો અનુભવ થાય છે. ઉનાળાના સમયમાં જ આવી શીતળતા અનુભવાય છે. વગડાની નિરવ શાંતિમાં અહીં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી વાતાવરણ પણ પ્રફૂલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે. પ્રકૃતિની વચ્ચે આવેલા શિવ મંદિરના દર્શનનો લ્હાવો એક વખત અચૂક લીધા જેવો છે.