આઝાદીના 75 વર્ષ પછી પણ રાજ્ય અને દેશમાંથી ભ્રષ્ટાચાર, બેરોજગારી, દર ચોમાસામાં રોડ પર ખાડા વગેરે જેવી સમસ્યાઓ દૂર ભલે ન થાય પરંતુ સ્વતંત્રતા પર્વ આવે એટલે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનો માહોલ જરૂર ઊભો કરવામાં આવે છે. અને થોડા દિવસો પૂરતી દેશભક્તિ સામે અન્ય સમસ્યાઓ ગૌણ હોય તેવું સાબિત કરવાનો કદાચ પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે ભાજપ દ્વારા 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ તિરંગા યાત્રામાં સામાન્ય નાગરિકોની બહુ સંખ્યા જોવા ન મળતાં તિરંગા યાત્રા રાજકીય યાત્રા હોવાનું કહેવાઈ રહ્યું છે.

તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો, અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. નાગરિકો તિરંગા યાત્રામાં જોડાય તે માટે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં ન આવ્યાનું સ્થાનિકોનું કહેવું છે. ઉપરાંત આ યાત્રાથી મીડિયાકર્મીઓને પણ અળગા રાખવામાં આવ્યા હતા.મીડિયાના કર્મચારીઓને તિરંગા યાત્રા અંગે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.

ભાજપના આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા. તો તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે યાત્રા સફળ દર્શાવવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો જરા પણ ઉચિત નથી. શાળાના બાળકો રાજકીય કાર્યક્રમનો ભાગ ન બનવા જોઈએ.
આ પણ વાંચો- ડોક્ટરની સલાહ બાદ ગર્ભપાત કરાવતાં સગર્ભા મહિલાનું મોત
