ચોટીલા તાલુકામાં પીવાનાં પાણીની સમસ્યાને લઈને ઘણા સમયથી લોકોમાં નારાજગી છે. દેવસર ગામમાં આવતા ટેન્કરમાંથી પાણી ભરવા લોકોમાં પડાપડી થતી હતી. આ અંગે નમસ્તે ગુજરાતે અહેવાલ પણ દર્શાવ્યો હતો. ત્યારે અહેવાલ બાદ પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ચોટીલા પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા આગેવાનો સાથે બેઠક યોજી હતી.
આ ઉપરાંત કોઈ જગ્યાએ પાણીની પાઈપલાઈન, પાણીના સંપ, પાણીનાં ટાંકામાંથી પાણી ચોરી કરવામાં આવતી હોય તો એવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું. એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને તેમણે ટકોર કરી હતી.

બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તેમણે તાકીદ કરી હતી તેમજ પીવાનું પાણી દરેક ગામ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે પાઈપલાઈનની કામગીરી થઈ રહી હોય, ગામલોકો અને આગેવાનોને તેમાં પૂરતો સહયોગ આપવા તેમણે સૂચન કર્યું હતું. ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓને પાણીથી ભરવા અંગે પણ તેમણે સૂચન કર્યું હતું.
આ બેઠકમાં ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ. સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.