ચોટીલામા તંત્રના વાંકે ભગવાનને પણ મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે.ચોટીલામાં ઘણા દિવસો બાદ વરસાદ વરસ્યો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીથી રાહત મળી. જો કે બીજી તરફ આ વરસાદે તંત્રની કામગીરી કેટલીક લોકહિતકારક છે તેની પોલ પણ ખોલી નાખી. તંત્રના વાંકે ભગવાન ભોળાનાથના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં ગંદા પાણી ઘૂસી ગયા. જેને લઈને મંદિરની પવિત્રતા પણ ન જળવાઈ.

ચોટીલામાં થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જૂના બસસ્ટેન્ડથી હાઈવે તરફનો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ રોડની કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે જો રોડ બનશે તો પાણીનો ભરાવો થવાની સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. પરંતુ સ્થાનિકોની વાતને અવગણીને તંત્ર દ્વારા ધરાર રોડ બનાવવામાં આવ્યો. અને વરસાદ આવતાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ અને રોડ પરના ગંદા પાણી સુખનાથ મહાદેવના મંદિરમાં ફરી વળ્યા. જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જે અધિકારીઓએ રોડ મંજૂર કર્યો અને જે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો તેમના ખર્ચે આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.