Homeગુજરાતચોટીલામાં મેઘરાજની તોફાની બેટિંગ; ભીમગઢનું તળાવ તૂટતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

ચોટીલામાં મેઘરાજની તોફાની બેટિંગ; ભીમગઢનું તળાવ તૂટતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

સમગ્ર રાજ્યમાં ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા છે. કેટલાક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ બે ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસ્યો જેને લઇને મોટાભાગની નદીઓ અને તળાવોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે.


સુરેન્દ્રનગરમાં આ વખતનો સૌથી વધુ ચોટીલામાં વરસાદ પડ્યો છે. ભીમગઢના તળાવમાં નવા નીરની ભરપૂર આવક થતાં તળાવ તૂટી ગયું છે. અને તળાવના પાણી આસપાસમાં નીકળી રહ્યા છે. તળાવનું આ પાણી ચોટીલા હાઇવેથી નીચાણવાળા વિસ્તારો ઘાંચીવાડ, ગરાસીયા વાડ તરફ આવી રહ્યું હોય આ વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને લઈને ચોટીલા તાલુકાના અનેક ગામો તરફના રસ્તાઓ ધોવાઈ ગયા છે. કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેને લઈને શહેર તરફ લોકોની અવરજવર અટકી ગઈ છે.

આ પણ વાંચો – વડોદરામાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા સૂચના

ઠાંગા પંથકમાં વરસાદે બઘડાટી બોલાવતા પાદરમાં આવેલી નદીઓ ગાંડીતુર બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં અત્યાર સુધીમાં આ મોસમનો 732 મીમી એટલે કે 29.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ટકાવારી પ્રમાણે વાત કરીએ તો ચોટીલામાં આ સીઝનનો 107 ટકાથી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે.

સુરેન્દ્રનગર કલેક્ટર કેયુર સંપટ અને સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકોને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular