ગુજરાત સ્થાપના દિવસે જ ગુજરાતમાં વિકાસની પોલ ખૂલ્લી પડી ગઈ છે. એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ છે. બીજી તરફ આ ચૂંટણીના માહોલમાં જ ચોટીલાના સરકારી દવાખાનામાં ટીબીની દવા ખૂટી પડતાં ખળભળાટ મચી ગયો છે. ગંભીર વાત એ છે કે ટીબીની દવા માટે દવાખાનાના ડોક્ટર દ્વારા દાન માટે એક મેસેજ વોટ્સઅપ ગ્રૂપમાં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે – ચોટીલા સરકારી દવાખાનામાં ટીબીની દવા નથી. જેના માટે દાનની રકમ મળી શકે તો આપણે દવા આપી શકીએ. જેના માટે 10 હજાર રૂપિયા જરૂરી છે. જો દાન આપવા માગતા હોય તો જાણ કરવા વિનંતિ.
ચોટીલા સરકારી દવાખાનાના ડોક્ટરનો આ મેસેજ વાયરલ થયા બાદ સુરેન્દ્રનગરના પરિશ્રમ ટ્રસ્ટના રામકુભાઈ કરપડા દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો અને સરકાર તરફથી દવા કેમ નથી પહોંચી તે અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કંપની તરફથી રો મટીરિયલ ન આવતું હોવા કે અન્ય કોઈ કારણોસર સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ છે. પરંતુ એસોસિએશને આ દવા મંગાવી લીધી છે જે એકબે દિવસમાં ચોટીલામાં આવી જશે તેવું તેમણે જણાવ્યું. ત્યારે સવાલ એ છે કે જો એસોસિએશન દવા મંગાવી શકતું હોય તો આરોગ્ય વિભાગ દ્વારા દવા કેમ ન પહોંચી શકે.

મહત્વનું છે કે એક તરફ સરકાર દ્વારા ટીબીમુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. પરંતુ અભિયાન શરૂ કરવામાં જેટલું ધ્યાન અપાય છે તેટલું અભિયાનને પૂરું કરવામાં ધ્યાન ન અપાતું હોવાનું લાગી રહ્યું છે.