ન્યાય યાત્રા દરમિયાન ચોટીલામાં બાળકોના ટીશર્ટ ઉતરાવવા મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે. લાલજીભાઈ દેસાઈ અને ઋત્વિક મકવાણા સહિતના કોંગ્રેસના નેતાઓ સામે સાંગાણીની શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે આ ફરિયાદ ભાજપના ઈશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે.

ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું કહેવું છે કે ચોટીલા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાય એ પહેલાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા ફરિયાદ નોંધાવા અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં કલમો પણ દર્શાવવામાં આવી હતી. જેનાથી સ્પષ્ટ થાય છે કે પડદા પાછળ ભાજપ છે.

પાલભાઈ આંબલિયાએ ગૃહમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે ન્યાય યાત્રામાં જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે તેને જોતાં ખોટા કેસ કરવામાં આવ્યા છે. જો તેમને કેસ કરવો હોય તો મોરબી નગરપાલિકાના કોર્પોરેટર, ચીફ ઓફિસર અને કલેક્ટર ઉપર કેસ કરી બતાવે, જ્યાં આગ કાંડ થયો તે રાજકોટના ગેમઝોનમાં જન્મ દિવસ ઉજવનાર આઈપીએસ, આઈએએસ, તેમજ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર કેસ કરી બતાવે. જસદણમાં દુષ્કર્મ મામલે આરોપીઓ પર કેસ કરી બતાવે.

મહત્વનું છે કે ચોટીલાના સાંગાણીની શાળાના બાળકોએ વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર વાળી કેસરી ટીશર્ટ પહેરેલી જોતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રોષે ભરાયા હતા. અને ભાજપે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને બદલે વીર સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા પડતા પાછળ રહીને આ કૃત્ય કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
