મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકોટ થઈને સુરેન્દ્રનગર આવી પહોંચી. સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસની ન્યાય યાત્રા આવી પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીના હાથમા તિરંગો આપીને ન્યાય યાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ચેતનભાઈ ખાચર સહિત કોંગ્રેસના આગેવાનો ખસ હાજર રહ્યા.

નાની બાળાઓ દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના ન્યાયયાત્રામાં આવેલા કોંગ્રેસના આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પછી આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચોટીલામાં રાત્રિ રોકાણ કરશે અને ત્યાર બાદ ગાંધીનગર તરફ રવાના થશે.

આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નમસ્તે ગુજરાત સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમને કહ્યું કે, રાજકોટ અગ્નિકાંડ, મોરબી કાંડ અને તક્ષશિલા કાંડ તથા હરણીના પીડિતોને ન્યાય મળે એ હેતુથી કોંગ્રેસ દ્વારાગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપનો પાપનો ઘડો અમે સાથે લઈને ચાલીએ છીએ. એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી પણ કેટલીક ચિઠ્ઠીઓ આવી છે. એ ઘડો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે.

મહત્વનું છે કે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે કોંગ્રેસે 9 ઓગસ્ટના રોજ ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ ન્યાય યાત્રા 300 કીમીનો પ્રવાસ ખેડીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર – એમ ગુજરાતના પાંચ જિલ્લામાંથી પસાર થશે. કોંગ્રેસનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવી દુર્ઘટનાઓમાં સામાન્ય લોકો હોમાયા છે. જેનો ન્યાય એકપણ ઘટનામાં લોકોને મળ્યો નથી. એમને ન્યાય અપાવવા માટે આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.