વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા નડા ગામમાં પડતર દિવસની મોડી રાત્રે બે માળના મકાનમાં ભીષણ આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. પતરાના મકાનમાં મૂકેલા ઘાસના પૂળામાં આ આગ લાગી હતી. જે જોત જોતામાં જ વિકરાળ બની ગઈ. આગની જ્વાળાઓ ઊંચે સુધી જોવા મળતાં ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.ફટાકડાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – સુરતમાં મૃતકના પરિવારજનો સાથે સ્મશાનમાં એવું થયું કે…
ઘાસના પૂળામાં આગ લાગતાં બની વિકરાળ
સામે આવેલી વિગતો પ્રમાણે ,નડા ગામમાં રહેતા દેવજીભાઇ રબારીના પતરાવાળા બે માળના મકાનમાં આ આગ લાગી હતી. પતરાના મકાનમાં તેમણે ઘાસ-ચારો મૂક્યો હતો. ફટાકડાનો તણખો ઘાસના પૂળામાં પડતા આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. પશુઓ માટે રાખવામાં આવેલા સૂકા ઘાસના પૂળામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ
આગ લાગતાં જ ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ગામ લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાથી સ્થાનિકો દ્વારા કાબૂ મેળવી શકાયો નહોતો. ઘટના અંગે ડભોઇ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.