Homeગુજરાતસુરેન્દ્રનગરઃ દાટી દીધેલી હાલતમાં જીવિત બાળકી મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગરઃ દાટી દીધેલી હાલતમાં જીવિત બાળકી મળી આવતા ચકચાર

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ન થાય. પરંતુ આ કળિયુગમાં કેટલીક માતાઓ પણ કુમાતા બની જાય છે. અને પોતાના સંતાનને ત્યજી દેવામાં જરા પણ સંકોચ નથી અનુભવતી. સુરેન્દ્રનગરમાં પણ આવી જ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માતાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જીવતી નવજાત બાળકીને જમીનમાં દાટીને માતા ફરાર થઇ ગઈ. જો કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ બાળકી એક વ્યક્તિને મળી આવતાં તેણે બાળકીને બહાર કાઢીને બચાવી લીધી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળના વિસ્તારમાં કુકાભાઈ રબારી બકરા ચરાવવા ગયા હતા. આ દરમિયાન તેમણે આસપાસમાં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં તેઓ આગળ વધ્યા તો જમીનમાં અર્ધ દાટેલી જીવિત બાળકી તેમને મળી આવી. આ અંગે તેમણે ગામલોકોને જાણ કરી. ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી અને બાળકીને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી.


માતાએ દાટી દીધેલી બાળકીને જાણે ધરતી માતાએ બચાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ બાળકી એકદમ સ્વસ્થ છે. આ વિસ્તારમાં રોજડા, ઝરખ, નાર અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે. જો કુકુભાાઈને બાળકી વિશે ખબર ન પડી હોત તો કોઈ જંગલી પ્રાણી તેનો શિકાર કરી દે તેવી પૂરેપૂરી શક્યતા હતી. બાળકી કોની છે, તેને આવી હાલતમાં કોણે અને શા માટે ત્યજી દીધી. તેના માતા-પિતા કોણ છે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular