ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. સવારે સ્નાન કરી ગણપતિની માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી. આ દિવસે ઉપવાસ કરવો. વ્રત કરનારે રાત્રે ચંદ્રદર્શન ન કરવું. ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીને જળમાં પધરાવી દેવી.
ગણેથ ચતુર્થીની વ્રત કથા:
એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણેશજીની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રએ કહ્યું: ‘કેમ ગણેશજી ! આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓને, તમારું પેટ તો દેખાતું જ નથી!’ છતાં ગણેશજી કંઈજ બોલ્યા નહિ. એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યાં.
વળી પાછો ચંદ્ર બોલ્યો : ‘આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેતા જાવ !’
આમ છતાં પણ ગણેશે પાછું વળીને જોયું નહીં.
થોડી ક્ષણો બાદ ફરી ચંદ્ર બોલ્યો ‘શું રૂપ ઘડયું છે વિધાતાએ!’ એમ કહી ખડખડાટ હસી પડયો.
ગણેશજીએ ક્રોધે ભરાઈને ચંદ્રને શાપ આપ્યો
અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું આટલું અભિમાન સહન કરી શક્યા નહિ. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેઓ ગુસ્સે થઈ ગયા.અને ગંભીર શબ્દોમાં બોલ્યાઃ
‘ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે. વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે, પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઊડાવવી. આજે તેં મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહિ પણ તને એટલો શાપ આપું છું કે, આજથી કોઈ તારું મુખ નહિ જુએ! અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારનાં ખોટાં આળ આવી પડશે, તેનાં બધાં કામોમાં અણધાર્યાં સંકટો આવશે!’
આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા.
ગણેશજીના શાપથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો
ચંદ્રને ઠેકડી મોંઘી પડી. ગણેશજીનો શાપ સાંભળીને તે ધ્રૂજી ઊઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. પણ હવે શું થાય?
શાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે, જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યાં સંકટો આવશે!
બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ-સરોવરમાં સંતાઈ ગયો.
દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે, હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે?
દેવતાઓ બ્રહ્માજી પાસે ઉપાય પૂછવા ગયા
બધા દેવો સાથે મળીને બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી.
બ્રહ્માજી બોલ્યા: ‘ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જ જાવ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપમુક્ત કરશે. પરંતુ એ પહેલા તમે મહાદેવજી પાસે જાવ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો.’
દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા : ‘હે મહાદેવ! ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય ! એ અમને કહો.’
મહાદેવે બતાવ્યો ગણેશ ચોથનું વ્રત કરવાનો ઉપાય
મહાદેવજી બોલ્યા : ‘ભાદરવા મહિનાની અજવાળી એકમથી ચોથ સુધીમાં, સારું મૂહુર્ત જોઈને ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરી તેનું પૂજન કરવું. ભજન-કીર્તન ગાઈને, ગીત-સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા કે લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીને જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે.’
દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કરી. બૃહસ્પતિ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું.
ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું. પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની માફી માગી અને પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો.
ગણેશજીએ ચંદ્રનો શાપ ઓછો કર્યો
ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા: ‘હે ચંદ્ર ! હું તારા પર પ્રસન્ન થયો છું. તું સંપૂર્ણ શાપ મુક્ત તો નહીં થઈ શકે. છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શાપ થોડો હળવો કરું છું. જે કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એક માત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. આ કલંકને દૂર કરવા માટે જે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈને તેને સંકટમાંથી મુક્ત કરીશ.