ચોટીલાની જીનિંગ મિલનું ઊઠમણું થવાના મામલે સંકટમાં મૂકાઈ ગયેલા મજૂરોની વહારે રહી રહીને વહીવટી તંત્ર આવ્યું ખરું. જીનિંગ મિલને રાતો રાત તાળા મારી દેવાતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરો ચિંતામાં મૂકાઈ ગયા હતા. 2 મહિનાથી મજૂરોનું મહેનતાણું ચૂકવવામાં નથી આવ્યું. અને કંપનીની કેન્ટીનમાં પણ મજૂરોને જમવાની મનાઈ કરી દેવામાં આવી. ત્યારે મજૂરોને જમવા ક્યાં જવું તેને લઈને વિકટ પ્રશ્ન હતો. જો કે વહીવટી તંત્ર સુધી વાત પહોંચતા વહીવટી તંત્ર દ્વારા મજૂરોના જમવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ કાયદાકીય લડત માટે પણ વહીવટી તંત્ર દ્વારા મદદ કરવામાં આવશે તેવું ચોટીલાના પ્રાંત અધિકારીનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધનાથ કોટેક્સ કંપની દ્વારા ખેડૂતોને, મજૂરોને તેમજ વેપારીઓને પૈસા આપવા માટે 20 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. ત્યારે ખેડૂતો, મજૂરો અને વેપારીઓ મિલ પર પહોંચતા જ દરવાજા પર તાળા લાગેલા હતા. મિલના સંચાલકો અને માલિકોને ફોન કરવામાં આવતા ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈને હંગામો મચી ગયો હતો.
આ પણ વાંચો – પક્ષપલટા માટે જાણીતા શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે મુલાકાત

સ્થિતિ વધુ ન વણસે તે માટે ચોટીલા પોલીસ તાબડતોબ મિલ પર પહોંચી ગઈ હતી અને બધાની રજૂઆત સાંભળીને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કેસમાં જેની પહેલી જવાબદારી બને છે તે વહીવટી તંત્રના અધિકારીઓ મોડે મોડે મેદાનમાં આવ્યા.
