ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓની બરાબરની ઝાટકણી કાઢી છે. અકસ્માત વળતરના એક કેસ બાબતે સુનાવણી હતી જેમાં હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટે RTO અને ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું હતું કે, ટ્રાફિક અને નિયમોના ઉલ્લંઘનના જે પ્રશ્નો લોકોને દેખાય છે તે અધિકારીઓને કેમ દેખાતા નથી? બસ અને ડમ્પરની નીચે કેટલાય માણસો ચગદાઈને મરે છે. આ ડમ્પરો અને ટ્રાવેલ્સ બસ દિવસે કેવી રીતે ફરે છે? માણસોની ઘટ હોય તો ભરતી કરો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરો.

કોર્ટે જણાવ્યું હતું કે રિક્ષાવાળો પેસેન્જરને આગળ બેસાડે છે. કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભરીને ગાડીઓ ત્યાંથી ઊપડે છે અને બાજુમાં ઊભો રહેલો કોન્સ્ટેબલ જોઈ રહે છે! શું ટ્રાફિક પોલીસ ખાનગી વાહનોને દંડવા માટે જ છે! કોમર્શિયલ અને ખાનગી વાહનો માટે અલગ અલગ માપદંડ છે? કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ દેખાય એટલે 10 પોલીસવાળા તેને ઘેરી પડે છે. તેની પાછળ શું કારણ છે? આનાથી લોકોમાં શું ઈમેજ જાય છે તેની તમને ખબર છે?
DGPએ ટ્રાફિક ડ્રાઈવ યોજવાના આદેશ આપ્યા હોવાનું સરકારી વકીલે જણાવતા કોર્ટે કહ્યું કે ડ્રાઈવ એટલે શું આ તો દરરોજની ડ્યૂટી હોવી જોઈએ.15 દિવસ ડ્રાઈવ કરવામાં આવશે. બાદમાં હતી તેવી જ સ્થિતિ થઈ જશે. દિવસ દરમિયાન લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે તો પણ ફરતી જોવા મળે છે. લક્ઝરી બસ ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે. ટ્રાફિક પોલીસ ટુ-વ્હીલર ઉપાડી લે છો પણ લક્ઝરી બસ કેમ દેખાતી નથી. આવા ભેદભાવનું શું કારણ છે.

સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા અંગે હાઇકોર્ટે પૂછ્યું કે, શાળાએ છોકરાઓને મૂકવા જવાની વાનમાં કેટલી કેપેસિટી હોય છે? 6ની કેપેસિટીવાળી વાનમાં 8 બાળકોને બેસાડવામાં આવતા હોય છે. સરકારી વકીલે કહ્યું હતું કે, 18 વર્ષથી નીચેના અને 12 વર્ષનાં બાળકોને વાહનની કેપેસિટી કરતાં બમણા બેસાડી શકાય છે. જે સાંભળી કોર્ટે ઝાટકણી કાઢી કે, તો શું બાળકોને CNGના બાટલા ઉપર પણ બેસવાની પરમિશન છે? રિક્ષાની પાછળ સ્કૂલ બેગ લટકતી જોવા મળે છે તેની પણ પરમિશન છે?

હાઈકોર્ટે સવાલ કરતા કહ્યું કે રિક્ષામાં 3ની જગ્યાએ 6 પેસેન્જર ભરવામાં આવે છે. વળી રિક્ષાને ગમે ત્યાં ઊભી રાખી દે છે, બ્રિજની વચ્ચે પણ ઊભી રાખી દે છે. ટ્રાફિક સિગ્નલે ટીઆરપી જવાન સિવાય ટ્રાફિક પોલીસ તો ક્યાંય જોવા જ મળતી નથી. કેમેરાને આધારે કેટલા રિક્ષાવાળાઓ સામે તમે કેસ કર્યા? AMTS અને ST બસવાળા પણ બ્રિજ નીચે પાર્કિંગ કરી દે છે. AMTS બસ સ્ટોપ ઉપર રિક્ષા ઊભી રહે છે. ટ્રાફિક નિયમોમાં તેમને બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહેવાની પરમિશન નથી તો શા માટે તેમને ઊભા રાખવા દેવામાં આવે છે?
રિક્ષાવાળા ચાર રસ્તા પર અને રોડ પર ગમે ત્યાં રિક્ષા પાર્ક કરી દે છે. પોલીસ કોઈ પગલાં લેતી નથી. DCP કહે છે કે, અમદાવાદ શહેરમાં 80 લાખ માણસો સામે 1500 ટ્રાફિક પોલીસ છે તો શું કામ નહીં કરવાનું? ઇન્સ્યોરન્સ કંપનીઓ કહે છે કે, નિયમો કરતાં વધારે લોકો વાહનમાં બેસાડેલા હોવાથી ઇન્સ્યોરન્સ આપી શકાય નહીં તો RTO અને ટ્રાફિક પોલીસની ભૂલ લોકો ભોગવશે?

કોર્ટે કહ્યું કે અમુક સ્ટિકરવાળા વાહનચાલકો ઈશારા કરે એટલે તેમને પકડવામાં નથી આવતા. આ બધું જ બીજા લોકો જોઈ શકે છે પણ આરટીઓ કે પોલીસને કેમ નથી દેખાતું? શું તેમાં પોલીસનો નાણાકીય લાભ કે અંગત સ્વાર્થ છે?
હાઇકોર્ટે RTO અને અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ અને ભવિષ્યના પ્લાનિંગનું સોગંદનામું માગ્યું હતું. કોર્ટે નોંધ્યું કે, અકસ્માતના બનાવો ઓથોરિટીની આળસ અને નિષ્ક્રિયતાનું પરિણામ છે. ગૃહ વિભાગની નિષ્ક્રિયતાનું પરિણામ છે. RTO, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, ડીજીપી ઓફિસ અને ગૃહ વિભાગના સેક્રેટરી આ સોગંદનામું દાખલ કરશે. આ મુદ્દે વધુ સુનાવણી 14 ઓગસ્ટે રાખવામાં આવી છે.