Homeદેશઉત્તર પ્રદેશના હાથરસ નજીક સત્સંગ સભા દરમિયાન નાસભાગ; 100થી વધુ લોકોના મોત

ઉત્તર પ્રદેશના હાથરસ નજીક સત્સંગ સભા દરમિયાન નાસભાગ; 100થી વધુ લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે.  ઉત્તરપ્રદેશના હાથરસથી 47 કિલોમીટર દૂર આવેલા ફૂલરાઈ ગામમાં ભોલેબાબા ઉર્ફે નારાયણ હરિની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  સત્સંગ સભા પૂર્ણ થયા બાદ અચાનક નાસભાગ મચી ગઈ અને તેને કારણે 100થી વધુ લોકો મોતને ભેટ્યા. જ્યારે 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

સભામાં મૃત્યુ પામનારા અને ઘાયલ થયેલા લોકોને  ટેમ્પોમાં ભરી ભરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.  અને  હોસ્પિટલની બહાર મૃતદેહોને મૂકવામાં આવ્યા હતા. જે દ્રશ્યો લોકોના રૂંવાડા ઊભા કરી દે તેવા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે જમીન પર પડેલા ઘાયલો દર્દથી કણસી રહ્યા હતા, પરંતુ તેમની સારવાર કરવા માટે કોઈ હાજર નહોતું.

મહત્વનું છે કે નારાયણ હરિ લગભગ 25 વર્ષથી સત્સંગ કરી રહ્યા છે. પશ્ચિમ યુપી ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ તેમના અનુયાયીઓ છે. લગભગ 50 હજાર જેટલા લોકો તેમના સત્સંગમાં પહોંચ્યા હતા. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહોતી આવી  જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાય રહ્યું છે. એટલું જ નહીં પણ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર કોન્સ્ટેબલ રજનેશને મૃતદેહોના ઢગલા જોઈને હૃદયરોગનો હુમલો આવ્યો. જે બાદ તેમને ડોક્ટર પાસે લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મોટાભાગના મૃતકો હાથરસ, બદાયું અને પશ્ચિમ યુપી જિલ્લાના છે.

ઘટના અંગે જાણ થતાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ અને ડીજીપી તેમજ બે મંત્રીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઘટનાની તપાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓની ટીમની નિયુક્તિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular