ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશીનું ઘણું મહત્વ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ એકાદશીના દિવસે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ એકાદશીના દિવસે શાલિગ્રામ ભગવાનની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે.

ઇન્દિરા એકાદશીના વ્રતનું મહત્વ-
શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ એટલા માટે ખાસ છે કારણ કે આ એકાદશી કરવાથી પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ શકે છે. જીવિત વ્યક્તિ પોતાના માટે ધારે તે વ્રત અને પુણ્ય કર્મ કરી શકે છે. પરંતુ મૃત્યુ પછી એ વ્યક્તિ તેના સંતાનો પાસે આશા રાખતા હોય છે. ત્યારે આ એકાદશીના દિવસે પૂર્વજોમાં કોઈનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય અને તેને કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. તેથી પરિવારને પણ તેના આશીર્વાદ મળે છે. સાથે સાથે વંશની પણ વૃદ્ધિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો પણ ખાસ મહિમા છે. આ એકાદશીના વ્રતથી વ્યક્તિ મૃત્યુ પછી વૈંકુંઠમાં વાસ કરે છે. એકાદશીના દિવસે આંબળા, તુલસી, અશોક, ચંદન અથવા પીપળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.
ઈન્દિરા એકાદશીની વ્રત વિધિ-
આ દિવસે સવારે વહેલા ઊઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મથી પરવારી પ્રથમ ભગવાન વિષ્ણુ નારાયણનું શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો. અન્ન ન આરોગવું. દિવસભર ભગવાનનું સ્મરણ કરવું. ભગવાન પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધુ આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી ભગવાનના નામનો જાપ કરવો અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઈન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓને પણ શાંતિ મળે છે અને તેમની ગતિ થવાથી પરિવારમાં પણ સુખ શાંતિ રહે છે.
ઈન્દિરા એકાદશીની વ્રત કથા-
ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને ઈન્દિરા એકાદશીના વ્રતનો મહિમા કહ્યો હતો. ભગવાને કહ્યું હે ધર્મરાજ, સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઈન્દિરા એકાદશી ઘણી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓને પણ મુક્તિ મળે છે. હે રાજન, ઈન્દિરા એકાદશીની કથા હું તમને સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
‘સતયુગમાં મહિષ્મતિ નામની નગરી હતી. જ્યાં મહાપ્રતાપી રાજા ઈન્દ્રસેન રાજ કરતાં હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખથી રહેતી હતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખુબ સારી થતાં હતાં. એક દિવસ એવું થયું કે નારદજી ઈન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઈન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું.
ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું. જે આ સમયે પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યાં છે. નારદજીની વાત સાંભળી ઈન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઈન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે અને તેમને મુક્તિ મળે.
ત્યારે દેવર્ષિ નારદે કહ્યું – હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે ભગવાન નારાયણનું વિધિવત પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર-જાપ કે કથા શ્રવણ કરો અને યથા શક્તિ દાન કરો. તેના પુણ્યથી તમારા પિતાને અવશ્ય મુક્તિ મળશે. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા.
નારદજીની વાત સાંભળી મહારાજા ઈન્દ્રસેને વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું. જેના પુણ્યને કારણે તેમના પિતાની આત્માને શાંતિ મળી અને તેઓ પરમ પદને પામ્યા. રાજા ઈન્દ્રસેને પોતે પણ અનંત સુખોને ભોગવીને મોક્ષ મેળવ્યો.’